(એજન્સી) ઇસ્લાબાદ, તા.૭
જમ્મુ અને કાશ્મીરના પુલવામા હુમલા બાદ સમગ્ર વિશ્વના દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી આક્રમક બનાવી દીધી છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે ૧૮૨ મદરેસા પર કબજો જમાવી લીધો અને પ્રતિબંધિત સંગઠનોના ૧૨૧ લોકોની અટકાયત કરી હોવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી નવી દિલ્હીના રોષને કારણે નહીં પરંતુ લાંબાસમયથી નિર્ધારિત યોજનાના એક ભાગરૂપે કરવામાં આવી છે. નવી દિલ્હીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ભૂમિ પરથી સક્રિય ત્રાસવાદી સંગઠનોને પહોંચી વળવામાં ઇસ્લામાબાદ નિષ્ફળ નીવડ્યું છે.
ઇસ્લામાબાદે જણાવ્યું કે પ્રાંતિય સરકારોએ ૧૮૨ મદરેસાના સંચાલન અને વહીવટ પોતાના હાથમાં લઇ લીધા છે.પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કાયદો અમલી બનાવતી એજન્સીઓ દ્વારા સાવચેતીના પગલારૂપે ૧૨૧ લોકોની અટકાયત કરવામાં આવી છે. ડોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહીથી હાફિઝ સઇદના નેતૃત્વવાળા જમાત-ઉદ-દાવા અને તેની ચેરિટી વિંગ ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પણ અસર પડી છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શહરયાર આફ્રિદીએ જણાવ્યું કે પ્રતિબંધિત સંગઠનો સામે આ કાર્યવાહી ચાલુ રહેશે. મંગળવારે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરનો ભાઇ મુફ્તી અબ્દુર્રઉફ, મસૂદનો પુત્ર હમ્માદ અઝહર સહિત પ્રતિબંધિત સંગઠનોના ૪૪ સભ્યોની અટકાયત કરી હતી.