(એજન્સી)
તા.૧૮
પાકિસ્તાન સરકારે દેશમાં વસતા બાંગ્લાદેશીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાનખાને સરકારના આ નિર્ણયની ઘોષણા કરી હતી. પાકિસ્તાનની એક ન્યૂઝ વેબસાઈટ પ્રમાણે પ્રધાનમંત્રી બન્યા પછી ઈમરાનખાને સોમવારે કરાચીની મુલાકાત લીધી હતી અને ત્યાં થયેલી જાહેરસભામાં તેમણે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનની નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. ઈમરાનખાને કહ્યું હતું કે, જે બાંગ્લાદેશી શરણાર્થીનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. તેમને નાગરિકતા આપવામાં આવશે. ઈમરાનખાને બાંગ્લાદેશ ઉપરાંત અફઘાન શરણાર્થીઓને પણ પાકિસ્તાનની નાગરિકતા આપવાની ઘોષણા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આ શરણાર્થીઓને પાકિસ્તાનના ઓળખપત્રો અને પાસપોર્ટ આપવામાં આવશે. ઈમરાનખાને કહ્યું હતું કે, આ શરણાર્થીઓ છેલ્લા ૪૦ વર્ષથી પાકિસ્તાનમાં વસવાટ કરે છે. પરંતુ તેઓને કે તેમના બાળકોને પાકિસ્તાનની નાગરિકતાથી વંચિત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો પ્રમાણે ત્યાં લગભગ ર૦ લાખ જેટલા અફઘાની અને બાંગ્લાદેશી શરણાર્થીઓ રહે છે.