(એજન્સી) તા.૭
નવે.ના છેલ્લા સપ્તાહમાં રાંચીથી લઇને હૈદરાબાદ સુધી દેશભરમાં મહિલાઓ પર બળાત્કારની ખોફનાક ઘટનાઓના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે. દિલ્હીમાં નિર્ભયાકાંડના સાત વર્ષ બાદ તેમજ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ બિલ છતાં આજે આપણી સામે પ્રશ્ન એ ઊભો થયો છે કે ભારત મહિલાઓ માટે કેમ સૌથી વધુ અસુરક્ષીત દેશ છે ?
ગ્લોબલ પીસ ઇનડેક્ષ દ્વારા જારી કરાયેલ ૨૦૧૭ના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત મહિલા પ્રવાસીઓ માટે ચોથા નંબરનો સૌથી ખતરનાક દેશ છે. આ રિપોર્ટ અનુસાર બિહાર, દિલ્હી, ઉ.પ્ર. અને ઝારખંડ મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં સૌથી તળીયે બેસી ગયેલા રાજ્યો છે. ધ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા બે વર્ષના વિલંબ બાદ જાહેર કરાયેલ એન્યુલ ક્રાઇમ રિપોર્ટ ૨૦૧૭ અનુસાર વર્ષ ૨૦૧૭માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના ૩૫૯૮૪૯ કેસ નોંધાયા હતાં જે પૈકી ૩૨૫૫૯ કેસ બળાત્કારના હતા. આમ દરરોજ દેશમાં ૮૯ બળાત્કાર થયાં હતા. એવું જણાય છે કે દર ૨૧ મિનિટે બળાત્કારનો એક કેસ નોંધાય છે. બળાત્કાર એ મહિલા વિરુદ્ધની હિંસાનું સૌથી વધુ ઘૃણાસ્પદ સ્વરુપ અને કૃત્ય છે. પુરુષપ્રધાન અને પિતૃપ્રધાન માનસિકતાને કારણે થાય છે. દેશની મહિલાઓ સામે થતાં હિંસક અપરાધોને કારણે અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે. શું આપણા દેશની મહિલાઓ સુરક્ષિત છે ? આપણી મહિલાઓ ક્યારે કોઇપણ જાતના ડર વગર પોતાનું માથું ઊંચું રાખીને મુક્તપણે હરીફરી શકશે ? આપણા દેશમાં અત્યંત ધાર્મિક વાતાવરણ હોય છે, ધાર્મિક મહોત્સવ પાછળ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. આપણા દેશમાં ધાર્મિક શ્રદ્ધાને પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ આ પ્રકારના ધાર્મિક ઉપદેશો અને ભાષણોની આપણા સમાજમાં કોઇ પ્રતિક્રિયા કે પ્રતિબિંબ જોવા મળે છે ખરું ? આ પ્રકારના ધાર્મિક માહોલ વચ્ચે આધ્યાત્મિકતાનો સહેજપણ અણસાર દેખાતો નથી તેના બદલે સાવ નીચલા સ્તરની ક્રૂરતા, પાશવતા અને હેવાનિયત જોવા મળે છે જે અનૈતિક, અસ્વસ્થ સમાજના લક્ષણો સમાન છે.
(સૌ : નેશનલ હેરાલ્ડ)