(એજન્સી) તા.ર૦
આઈએનએક્સ મીડિયાની માલિકી ધરાવતા ઈન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજીએ સીબીઆઈ અને ઈડી સમક્ષ આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે ર૦૦૬માં જ્યારે તેમણે નોર્થ બ્લોકમાં આવેલી પી.ચિદમ્બરમ્ની ઓફિસમાં તેમની સાથે મુલાકાત કરી ત્યારે તેમણે તેમના પુત્ર કાર્તિને મળવાનું સૂચન કર્યું. આ ઈન્દ્રાણીએ આ પણ કહ્યું હતું કે, તેમણે કાર્તિને વ્યાપારમાં મદદ કરી હતી. પૂર્વ નાણામંત્રી સામે ચાલી રહેલી ઈડી અને સીબીઆઈની તપાસમાં ઈન્દ્રાણીનું નિવેદન મહત્ત્વનો પુરાવો છે. ૧૭ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ ઈન્દ્રાણીનું આ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હાલમાં તે કોર્ટના દસ્તાવેજોનો ભાગ છે. આ નિવેદનમાં ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, જ્યારે તેણે દિલ્હીની હયાત હોટલમાં કાર્તિ ચિદમ્બરમ્ સાથે મુલાકાત કરી ત્યારે તેની પાસેથી ૧૦ લાખ ડોલરની લાંચ માંગવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રાણી મુખરજી તેની પોતાની દીકરી શીના બોરાની હત્યાના કેસમાં જેલની સજા કાપી રહી છે. શીના બોરા ઈન્દ્રાણી અને તેના પૂર્વ પતિની દીકરી હતી.