(એજન્સી) તા.૪
દારૂલ ઉલુમ નદવાતુલ ઉલમા અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (એલડીએ) વચ્ચે ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જમીન બાબતે વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત આ ઈસ્લામિક સંસ્થાનો આક્ષેપ છે કે એલડીએ અહીં બાંધવામાં આવેલા મદ્રેસાને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે એલડીએ દ્વારા આ આક્ષેપ નકારી કાઢવામાં આવ્યો હતો. દારૂલ ઉલુમની કાર્યકારી સમિતિના સભ્ય ડો. શોએબ કુરેશીએ કહ્યું હતું કે, ર૯ ઓગસ્ટના દિવસે એલડીએના અધિકારીઓ મદ્રેસા મઝહરૂલ ઈસ્લામને ધ્વસ્ત કરવા માટે આવ્યા હતા. તેમના મુજબ આ મદ્રેસાનું બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યું હતું. ૧૪ ઓગસ્ટે અમને આ સંદર્ભે નોટિસ પણ મળી હતી. તેમણે દાવો કર્યો હતો કે ૧૯૮રથી ૧૯૯૧ની વચ્ચે છ દસ્તાવેજો દ્વારા આ જમીન ખરીદવામાં આવી છે અને ર૦૦પમાં એલડીએ દ્વારા નકશાને મંજૂરી મળ્યા પછી જ આ મદ્રેસાનું બાંધકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ એલડીએના સચિવ મંગ્લા પ્રસાદે કહ્યું હતું કે, આ ચોક્કસ છે કે આ જમીન સરકારની છે પરંતુ અમે અહીં આવેલા મદ્રેસા કે પાકા બાંધકામને ધ્વસ્ત કરવાના નથી. એલડીએના સચિવે આ પણ આક્ષેપ કર્યો હતો કે અરજદારે કેટલાક એલડીએ અધિકારીઓની મદદથી અનૈતિક રીતે નકશા વિશે ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ મેળવી લીધું હતું. આ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.