(એજન્સી) શ્રીનગર, તા.ર૯
જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુર ખાતે સેના અને આતંકીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં બે આતંકીવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસ જવાન શહીદ થયો હતો. જવાનનું નામ ઝહીર અહેમદ હતું. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર વહેલી સવારે બાંદીપુરના હજાન મહોલ્લામાં અથડામણો શરૂ થઈ હતી. ત્રાસવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળતા સલામતી દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. બે કલાક સતત અથડામણો દરમ્યાન સામસામે ફાયરિંગમાં બે લશ્કરે તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે એક પોલીસ જવાન શહીદ થયો હતો. માર્યા ગયેલા આતંકવાદીમાં એક પાકિસ્તાની આતંકી અલી હતો. આતંકવાદીઓ સામે ઓપરેશન દરમ્યાન સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થર મારો કર્યો હતો. પોલીસે ઓપરેશન સમાપ્ત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.