(એજન્સી) મુંબઇ, તા. ૪
બોલિવૂડના અગ્રણી ગીતકાર જાવેદ અખ્તરે જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં લાગેલી પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની તસવીર સામે વિરોધ કરનારા લોકોએ ગોડસેના માનમાં બનાવવામાં આવેલા મંદિરોનો પણ વિરોધ કરવો જોઇએ. ૭૩ વર્ષીય લેખકે યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદ અંગે ટિ્વટર પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ વિવાદને તેમણે શરમજનક ગણાવ્યો છે. એએમયુ સ્ટુડન્ટ્સ યુનિયનની ઓફિસની દીવાલ પર પાકિસ્તાનના સ્થાપકની તસવીર સામે અલીગઢના સાંસદ સતિષ ગૌતમ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો.
જાવેદ અખ્તરે ટિ્વટર પર લખ્યું છે કે જિન્નાહ એએમયુના વિદ્યાર્થી કે પ્રોફેસર પણ ન હતા. જિન્નાહની તસવીર ત્યાં છે એ, શરમજનક છે. એએમયુના વહીવટીતંત્ર અને વિદ્યાર્થીઓએ જિન્નાહની તસવીર સ્વૈચ્છિક રીતે દૂર કરી નાખવી જોઇએ અને જિન્નાહની તસવરી સામે વિરોધ કરનારાઓએ ગોડસેના માનમાં બનાવવામાં આવેલા મંદિરો સામે પણ હવે વિરોધ કરવો જોઇએ.