(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ કહ્યું છે કે પક્ષ પ્રમુખ અમિત શાહ અને તેમના પુત્રના ધંધાદારી ગોટાળાની ધ વાયરમાં આપેલી ખબરનો જે રીતે ભાજપે પ્રતિભાવ આપ્યો તેનાથી પક્ષે નૈતિકતા ગુમાવી છે. એનડીટીવી સાથે એક મુલાકાતમાં સિંહાએ કહ્યું કે જય શાહના બચાવ માટે ભાજપે વરિષ્ઠ મંત્રીઓ કે સરકારી વકીલોની નિમણૂક કરવી ન જોઈએ. જે ખાનગી ધંધાદારી છે. જેના કારણે ભાજપે અને સરકારે નૈતિકતા ગુમાવી છે. સિંહાએ કહ્યું કે જય શાહ અંગે જે ખબર આવી છે તે અંગે હું કંઈ ટિપ્પણી કરવા માગતો નથી કારણ કે આ કેસ તપાસનો વિષય છે. પરંતુ જે રીતે આ કેસમાં કેન્દ્રના મંત્રીઓ તૂટી પડ્યા તે યોગ્ય નથી. તેઓ જય શાહની ફર્મના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. તેવી જ રીતે યુપીના એક મંત્રી બચાવમાં કૂદી પડ્યા. આ અવગણના પાત્ર છે. સિંહાએ પ્રશ્ન કર્યો હતો કે જય શાહના કેસમાં સોલિસીટર જનરલને પ્રતિનીધિ બનવા કેવી રીતે મંજૂરી અપાઈ ? શું આ વિવાદથી પક્ષ અને વડાપ્રધાનની છાપ ખરાબ થઈ છે ? સિંહાએ કહ્યું કે ઉચ્ચ હોદ્દા પર બેઠ્યા બાદ આ રીતે દખલગીરી એ સરકારની નૈતિકતાનું પતન કર્યું છે. મીડિયા લોકશાહીનું મહત્ત્વનું અંગ છે તેની સામે ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો કરી તેને દબાવવાની કોશિશ યોગ્ય નથી. વાયરના રિપોર્ટમાં જય શાહને અપાયેલ લોન તરફ ધ્યાન દોરાયું હતું. ગયા મહિને સિંહાએ ભારતીય અર્થતંત્રને જે રીતે મોદી સરકાર ચલાવી રહી છે તેની સામે ચેતવણી ઉચ્ચારી હતી.