(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૯
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છેલ્લા કેટલાક સમયથી બેફામ વાણીવિલાસ અને બફાટ કરવાને લઇ ભારે વિવાદમાં રહ્યા છે. જો કે, હવે તો હદ વટાવી દેતાં તેમણે સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે હરામજાદાઓ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં ગરમાતાં કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણમાં જીતુ વાઘાણી વિરૂધ્ધ તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા તપાસનો આદેશ કરી તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. વાઘાણીના વિવાદીત, અપમાનજનક અને ચૂંટણી આચારસંહિતાના ભંગ થાય તે પ્રકારના ઉચ્ચારણોને લઇને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. કોંગ્રેસપક્ષના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં અત્યારથી જ હાર ભાળી ગયેલા અને હતાશ થઇ ગયેલા ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરવાનું બંધ કરે તેવી સાફ ચીમકી ઉચ્ચારી હતી અને તાત્કાલિક વાઘાણીના બફાટ મુદ્દે વાઘાણી સહિત ભાજપ માફી માંગે તેવી જોરદાર માંગણી ઉચ્ચારી હતી. બીજીબાજુ, કોંગ્રેસ તરફથી સમગ્ર મામલે ચૂંટણી પંચમાં વાઘાણી વિરૂદ્ધ ગંભીર ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરાઇ હતી. સમગ્ર મામલો ગરમાતાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલામાં આજે તપાસના આદેશો જારી કર્યા હતા. ચૂંટણી અધિકારીએ આ પ્રકરણમાં તપાસના આદેશો કરી વિગતવાર અહેવાલ માંગ્યો છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના સંદર્ભે વાઘાણીએ કોંગ્રેસને આવી ખુલ્લી ધમકી આપી હતી. જો કે, રાજ્યનું ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્રની જેમ ફરી એક વાર આ મામલે મૂકપ્રેક્ષક બની રહ્યું છે અને આવી ગાળાગાળી કરવા બદલ વાઘાણી સામે પગલાં લેવાનું તો દૂર, તેની ક્યાંય નોંધ સુદ્ધા લેવાઈ નથી. સુરતમાં ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર હેઠળના અમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા ઉમેદવાર દર્શના જરદોશના ચૂંટણી કાર્યાલયનું રવિવારે રાત્રે ઉદઘાટન કરવા વાઘાણી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે શરૂમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને તેના કાર્યકરો પર દાદાગીરી અને લુખ્ખાગીરી કરવાના આક્ષેપો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમારી લુખ્ખાગીરીનો એક બનાવ બન્યો છે, જો બીજો બનશે તો સુરત મૂકાવી દઈશું. સુરતમાં ફોર્મ ભરવાના છેલ્લે દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં ચોકીદાર ચોર હૈના નારાથી બબાલની શરૂઆત થઇ હતી.આમ આવેગમાં આવી જઈ બેફામ વાણીવિલાસ કરવા જતાં જીતુ વાઘાણી ચૂંટણીપંચની કાર્યવાહીમાં સપડાયા હતા. પરંંતુ તેમની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે સમય જ બતાવશે.
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી અધિકારી દ્વારા તપાસનો આદેશ

Recent Comments