(એજન્સી) તા.૮
ગુરૂગ્રામમાં શુક્રવારની નમાઝ સમયે જે અડચણ ઊભી કરવામાં આવી હતી તે ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાતો પડયા હતા. મુસ્લિમ સંગઠનો અને નેતાઓની દલીલ છે કે, કોઈ વાસ્તવિક સમસ્યા પર ધ્યાન આપતું નથી કે મુસ્લિમો નમાઝ પઢી શકે તે માટેની જગ્યા ઘણી મર્યાદિત છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ગુરૂગ્રામના તે વિસ્તારમાં કોઈ મસ્જિદ નથી તો પછી આ ગરીબ લોકો નમાઝ પઢવા માટે ક્યાં જાય છે જે અમારા ધર્મનો અભિન્ન ભાગ છે ? ઉલ્લેખનીય છે કે, આ વિવાદ વિશે બોલતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, નમાઝ ફકત મસ્જિદ, ઈદગાહ અથવા ખાનગી સ્થળોએ જ પઢવી જોઈએ. ખટ્ટરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય કાસિમ રસૂલે કહ્યું હતું કે તેમની ટિપ્પણી આ વાત સાબિત કરે છે કે હિન્દુત્વ ગુંડાઓને રાજ્યનું પીઠબળ હતું. મુસ્લિમો માંડ અડધા કલાક માટે ચોક્કસ જગ્યા પર એકત્ર થાય છે અને આ ભાજપ સરકાર માટે એક મોટો મુદ્દો બની જાય છે. ગુરૂગ્રામમાં થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને હરિયાણા વકફ બોર્ડે એવી ૧૯ મસ્જિદો/જગ્યાઓની યાદી બનાવી છે. જ્યાં અત્યારે હાલમાં નમાઝ થતી નથી. આ મસ્જિદો અતિક્રમણને કારણે અથવા સ્થાનિકોના વિરોધને કારણે ઉપયોગમાં લઈ શકાતી નથી. મુસ્લિમ સંગઠનોએ ભારતીય પૂરાતત્ત્વ વિભાગને વારંવાર વિનંતી કરી હતી કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં રહેલા સંરક્ષિત સ્મારકોમાં જે મસ્જિદો આવેલી છે તેમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવામાં આવે. આ બાબતે ઈલ્યાસે કહ્યું હતું કે પુરાના કિલ્લા, લાલ કિલ્લા જેવા સ્મારકોમાં ઘણી બધી મસ્જિદો આવેલી છે. અમે જાહેર સ્થળે નમાઝ પઢીએ તેનાથી જો તમને વાંધો હોય તો પછી અમને આ મસ્જિદોમાં નમાઝ પઢવાની પરવાનગી કેમ નથી આપતા ? રાષ્ટ્રીય લઘુમતી પંચના પૂર્વ ચેરપર્સન વજાહત હબીબુલ્લાહે કહ્યું હતું કે આ સ્મારકો વાસ્તવમાં મસ્જિદો છે તો પછી શા માટે લોકોને નમાઝ પઢાવવાની પરવાનગી આપવામાં આવતી નથી ? તેમણે કહ્યું હતું કે, જુઓ કેટલી વિરોધાભાસી પરિસ્થિતિમાં આપણે છીએ. એક તરફ સરકાર નમાઝ માટે મસ્જિદોનો ઉપયોગ કરવા દેતી નથી બીજી તરફ જાહેર સ્થળો પર નમાઝ પઢતા મુસ્લિમો પર હુમલા કરવામાં આવે છે.