જૂનાગઢ, તા.ર૬
જૂનાગઢ શહેરમાં ગત સાંજે ઝાલોરાપા વિસ્તારમાં ઉધીવાડા મસ્જિદ પાસે એક નિવૃત્ત ફૌજીએ નશામાં ધૂત થઈને ફાયરીંગ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નશામાં ભાન ભૂલેલા નિવૃત્ત ફૌજીએ આ વિસ્તારમાં આવીને શા માટે ફાયરીંગ કર્યું તે વિશે અનેક ચર્ચાઓ થઈ રહી છે. ફાયરીંગ થયું હોવાની જાણ થતાં પોલીસ તત્કાલ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નશામાં બેકાબુ બનેલ નિવૃત્ત ફૌજી પાસે પિસ્તોલ ઝૂંટવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ બનાવ અંગે ‘એ’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં ‘એ’ ડિવિઝન પીઆઈ એમ.એ.વાળાએ આ આરોપી નિવૃત્ત ફૌજી ધીરેન જયકૃષ્ણ અવાસિયા (ઉ.વ.૩પ (રહે. રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ નવાનગર વાડા, જૂનાગઢ) વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ નશાની હાલતમાં ધુત બની કાબુ ગુમાવી દઈ જાહેરમાં પોતાની પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જ્યારે લોડેડ પિસ્તોલમાં વધુ એક રાઉન્ડ ફૂટયા વગરનો મળી આવી હતી. આ બનાવ અંગે ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી ધીરેન જયકૃષ્ણ અવાસિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તેને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે. આ બનાવની વધુ તપાસ માંડવી ચોકીના પીએસઆઈ એમ.સી. ચુડાસમા ચલાવી રહ્યા છે. તપાસનીશ અધિકારીનો સંપર્ક સાધતા તેણે એવું જણાવેલ હતું કે, આ વ્યક્તિએ નશામાં ભાન ભૂલીને ફાયરીંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે જો જરૂર જણાશે તો આજે આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અથવા જેલ હવાલે કરવામાં આવશે.