(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
કાંકરિયામાં એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાની ઘટના અંગે પોલીસે રાઈડના સંચાલક ઓપરેટર અને મેનેજર સહિત ૬ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનામાં જવાબદાર તમામ સામે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ મામલે રાજયના શહેરી વિકાસ વિભાગને એક વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો છે.
કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજર સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ,પુત્ર ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે આઈપીસી ૩૦૪ (મનુષ્યવધ) અને ૧૧૪ (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
બનાવની તપાસ કરતા માહિતી સામે આવી છે કે આ રાઈડના સંચાલકો દ્વારા રીતસરની બેદરકારી દાખવવામાં આવી છે. જે રાઈડ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, તે રાઈડ એસેમ્બલ્ડ હતી અને એટલે તેનો વિમો પણ મળ્યો નહોતો. જર્મન પાર્ટસની આ રાઈડનું વજન ૩૦થી ૧૦૦ ટન જેટલું હતું અને નિયમ અનુસાર દર સોમવારે આ રાઈડનું ઈન્સ્પેક્શન કરી ફિટનેસ સર્ટીફિકેટ આપવામાં આવતું હોય છે. રાઇડના જોઇન્ટમાં ૬ દિવસ પહેલાં જ ખામી જણાઈ હતી પરંતુ મેઇન્ટેનન્સના નામે આંખ આડા કાન કરાયા હોવાના કારણે આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. રાઈડમાં ખામી હોવાનો રિપોર્ટ ૬ જુલાઈએ જ આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાંકરિયા અકસ્માતની કરુણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે.
કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં છ લોકો સામે મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ

Recent Comments