National

કર્ણાટકમાં ત્રિશંકુ પરિણામ : BJP – JDS બન્નેના સરકાર રચવા દાવા

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ
પાર્ટી જીત વોટ %
ભાજપ ૧૦૪ ૩૬.ર %
કોંગ્રેસ ૭૮ ૩૭.૯%
જેડી(એસ)+ ૩૮ ૧૮.૪%
અન્ય ર ૭.પ %

બેંગ્લોર, તા. ૧૫
જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ રહ્યો હતો પરંતુ ભાજપ બહુમતિથી થોડાક જ અંતરે રહી ગયા બાદ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પાર્ટી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં રાજકીય ગઠબંધન માટે કાવાદાવા શરૂ થયા હતા. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૂર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો. ભાજપે કર્ણાટકમાં યોજાયેલી ૨૨૪ વિધાનસભાની કુલ સીટ પૈકીની ૨૨૨માંથી ૧૦૪ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૬ સીટો મળી હતી. જેડીએસ ત્રીજા સ્થાન ઉપર રહી હતી તેને ૩૮ સીટો મળી હતી. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. કર્ણાટકમાં મતગણતરી શરૂ થયા બાદથી જોરદાર રોમાંચની સ્થિતિ રહી હતી. કર્ણાટકમાં ચૂંટણી પરિણામથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફટકો પડ્યો છે. તેમની રણનીતિ ફરીએકવાર ફ્લોપ રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણીને સેમિફાઇનલ તરીકે તમામ પંડિતો ગણી રહ્યા હતા. ભારે સસ્પેન્સ અને અપેક્ષાઓ વચ્ચે મતગણતરી આજે શરૂ થયા બાદ શરૂઆતમાં જોરદાર સ્પર્ધા ધારણા પ્રમાણે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી હતી. જો કે મોડેથી ભાજપે મજબુત લીડ મેળવી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મહેનત રંગ લાવી હતી. ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા હાંસલ કરી હતી. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર મતગણતરી શરૂ થયા બાદ કેન્દ્રિત થઇ ગઇ હતી. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. બીજી બાજુ મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ત્રિશકુ વિધાનસભાની વીત કરવામાં આવી રહી હતી જેથી ભાજપ અને કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા પોત પોતાની રીતે પણ નવા સમીકરણ બેસાડી દેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. મતદાન બાદ કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના દાવેદાર બીએસ યેદીયુરપ્પાએ કહ્યુ હતું કે ભાજપ ૧૨૫થી ૧૩૦ સીટો જીતી જશે જ્યારે કોંગ્રેસ પાર્ટી ૭૦ના આંકડાને પણ પાર કરી શકશે નહીં. તેમના દાવા પણ ખોટા સાબિત થયા છે. ભાજપ તેમના કહેવા મુજબની સીટો જીતવામાં અસફળ રહ્યું હતું.

કોંગ્રેસ-કુમારસ્વામીનું જોડાણ, યેદીયુરપ્પાએ કહ્યું ‘‘હું પ્રથમ’’

(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૫
કર્ણાટકમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે પરંતુ બહુમતીથી થોડેક દૂર રહી ગયો હોવા છતાં તેણે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પા સાંજે રાજ્યપાલને મળ્યા હતા. જો કે, બીજી તરફ આશ્ચર્યજન રીતે જનતા દળ (સેક્યુલર) ત્રીજા સ્થાને રહેવા છતાં કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પ્રાંતિય પાર્ટી અને તેમના પુત્ર કુમારસ્વામી મુખ્યમંત્રી અને તેમના ડેપ્યુટી મુખ્યમંત્રી કોઇ દલિતને બનાવાશે તેવા ફોર્મ્યુલા પર તેઓ રાજી થઇ ગયા છે. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ એકબીજાના સમર્થન પત્રો લઇને સાંજે રાજ્યપાલને મળ્યા હતા. હવે કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ પહેલાં રાજ્યપાલ તરીકે નિમાયેલા વજુભાઇ વાળા પર આગળનું ચિત્ર નિર્ભર કરે છે.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. કર્ણાટકની ૨૨૪ બેઠકમાંથી ભાજપે સૌથી વધુ ૧૦૪ બેઠકો મેળવી છે જેમાં તે પૂર્ણ બહુમત મેળવવામાં આઠ બેઠકો ઓછી ધરાવે છે. કોંગ્રેસ ૭૮ બેઠકો પર આગળ છે જ્યારે દેવગૌડાની પાર્ટી ૩૮ બેઠકો પર આગળ છે.
૨. કોંગ્રેસે બપોરે દેવગૌડાને ફોન કર્યો હતો અને આ સોદા વિશે વાત કરી હતી જેમાં તેમના પુત્ર કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે અને કોંગ્રેસ કોઇ દલિત નાયબ મુખ્યમંત્રીનું નામ આપશે.
૩. કુમારસ્વામીએ સાંજે ૫ઃ૩૦ કલાકે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, અમે દેવગૌડા અને કુમારસ્વામી સાથે ફોન પર વાત કરી અમારી શરત માનવા કહ્યું હતું અને તેઓ માની ગયા છે. હવે જેડીએસ સરકાર બનાવવાનું નક્કી કરશે અને અમે રાજ્યપાલ પાસે જઇ લેખિતમાં આપીશું.
૪. કોંગ્રેસ પર પાછળના દરવાજાથી સત્તા આંચકી લેવાનો આરોપ મુકતા ભાજપના યેદીયુરપ્પાએ કહ્યું કે, કર્ણાટકના લોકોએ કોંગ્રેસ મુક્ત રાજ્યનો જનાદેશ આપ્યો છે. કોંગ્રેસ ફરી સત્તામાં આવવાના પ્રયાસ કરે છે અને કર્ણાટકની જનતા આમ થવા દેશે નહીં.
૫. હવે રાજ્યપાલ વજુભાઇ વાળાના હાથમાં છે કે કોંગ્રેસ-ગૌડા ટીમ અથવા ભાજપની ટીમને બોલાવે.
૬. કોંગ્રેસ અને જેડીએસ ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યું નહોતું અને કોંગ્રેસના મુખ્યમંત્રી પોતાના મતક્ષેત્રમાંથી હારી ગયા હતા. સિદ્ધારમૈયા એક દાયકા પહેલાં જેડીએસમાંથી બહાર આવી ગયા હતા અને તેમના ગૌડા સાથે સંબંધ સારા નથી.
૭. એક્ઝિટ પોલમાં જ્યારે ત્રિશંકુ વિધાનસભાની સંભાવના દર્શાવી હતી ત્યારે જ કોંગ્રેસે કહી દીધું હતું કે, અમે સરકાર બનાવવા માટે સિદ્ધારમૈયાનું બલિદાન આપી દેવા તૈયાર છીએ.
૮. દરમિયાન સિદ્ધારમૈયાએ પણ આ નિર્ણયને આવકારી કહ્યું હતું કે જે પાર્ટી નક્કી કરશે તેની સાથે રહેશે.
૯. ભાજપે કહ્યું હતું કે, તેની પાસે સૌથી વધુ બેઠકો હોવાથી પહેલાં તે સરકાર બનાવવા દાવો કરશે.
૧૦. ભાજપના પ્રમુખ અમિત શાહનો ઇતિહાસ ગોવાની જેમ જ્યાં પણ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે ત્યાં સરકાર બનાવવાની સાક્ષી પુરે છ