(એજન્સી) શ્રીનગર, તા.૩૦
કઠુઆ જિલ્લા હોસ્પિટલના તબીબોએ ગુરૂવારે ૧૩ વર્ષીય કિશોરી અને તેના બાળકના તેમજ બળાત્કારના આરોપી ર૮ વર્ષીય યુવકના લોહીના નમૂના લીધા હતા જેથી બાળકના પિતાની જાણ થઈ શકે.
ડીજીપી એસપી વૈદ દ્વારા કઠુઆ એસએસપી શ્રીધર પાટિલની આગેવાનીમાં વિશેષ તપાસ ટુકડીના આદેશ અપાયા બાદ આ પગલું લેવાયું છે. ૧૩ વર્ષીય પીડિતા બાસહોલી મતક્ષેત્રના દલિત પરિવારમાંથી આવે છે. તેના પિતાએ જણાવ્યા મુજબ ર૦૧૬માં તેણી જ્યારે પશુઓ ચરાવવા ગઈ હતી ત્યારે નજીકના ગામના ઊંચી જાતિના યુવકે તેનું છરીની ધાર પર અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી ઘરે પરત ફરી પરંતુ તેણીએ કોઈને કંઈ જણાવ્યું નહીં. ઘટનાના ૬-૭ મહિના પછી જ્યારે ઘરના લોકોને કંઈક અજૂગતું લાગ્યું ત્યારે તેઓ પીડિતાને તબીબ પાસે લઈ ગયા અને ત્યારબાદ પૂછપરછ બાદ તેણીએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. તેમણે કહ્યું કે, અમે બાશૌલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી નહીં. જેણે પાછળથી આગોતરા જામીનની અરજી કરી. ગર્ભપાત માટે હવે ઘણું મોડું થઈ ગયું હતું. ૩૦ મે ર૦૧૭ના રોજ તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. બાસહોસી એસએચઓ સુબબીર સિંઘે આ આરોપોને નકારતા જણાવ્યું કે, તેમણે ઘટનાની જાણ થતાં જ ગુનો નોંધ્યો હતો અને આરોપી અને બાળકના લોહીના નમૂના પણ ચકાસ્યા હતા પરંતુ તેમાં જાણવા મળ્યું કે આરોપી બાળકનો પિતા નથી. જો કે પીડિતાના પિતાએ દાવો કર્યો છે કે પોલીસ આરોપીની પડખે છે અને તેથી તેણે લોહીના નમૂના બદલ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારી દીકરી માટે ન્યાય મેળવવા અને તેના બાળકની સારવાર માટે મેં મારા તમામ ઢોર વેચી નાખ્યા છે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને આરોપીની ધરપકડ કરે.