(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
દેેશમાં એક દેશ એક ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુરૂવારે કાયદા પંચે આ વિષયે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. ૧૭૧ પાનાના રિપોર્ટમાં પંચે સ્પષ્ટતા કરી છે કે, એકસાથે ચૂંટણી કરાવવામા બંધારણીય કોઇ મુશ્કેલી નથી પણ આ પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન સાથે કોઇ સમાધાન ન થાય. કાયદા પંચે કહ્યું છે કે, સરકાર લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ એક સાથ કરાવે તેમાં કોઇ વાંધો નથી પણ તેણે એ ધ્યાન રાખવું પડશે કે, લોકશાહીમાં નિષ્પક્ષ તથા સ્વતંત્ર ચૂંટણીની પરિભાષા દૂષિત ન થાય. કોઇપણ ભોગે આ માન્યતાને જાળવી રાખવી પડશે. મત આપવો અને ચૂંટણી લડવી એ બંધારણીય અધિકાર છે તેને જાળવી રાખવું પડશે. જો આ વાત બધા જાણતા હોય તો એકસાથે ચૂંટણી કરાવવામાં કોઇ વાંધો નથી. આયોગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રક્રીયાથી બંધારણના માળખા પર કોઇ અસર નહીં પડે. લોકોમાં એવો ભ્રમ છે કે, જો આ પ્રક્રીયા થશે તો બંધારણીય માળખું ધ્વસ્ત થઇ જશે પણ તેવું નથી. સરકારે એ પણ નક્કી કરવું પડશે કે સંઘીય માળખુંં પહેલાની જેમ જ મજબૂત રહેવું જોઇએ. બંધારણની સાતમી કલમમાં ત્રણેય યાદીઓ કેન્દ્ર, રાજ્ય તથા સરખી યાદી પર અસર ન થાય. એક સાથે ચૂંટણી કરાવવા અંગે શું ફેરફાર કરવા પડે તે અંગે પંચે કહ્યું કે, આ અંગે ઘણા આરોપ પ્રતિઆરોપ લાગશે પણ એકવાર નિયમ બન્યા બાદ બધું આપોઆપ શાંત થઇ જશે.