(એજન્સી) બેંગલૂરૂ, તા. ૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પક્ષ સામે આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય માટેના તેમના બહાનાઓમાં ખામીયુક્ત ઇવીએમ સામેલ હશે. વિજયપુરામાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે લોકો વચ્ચે જવાને બદલે કોંગ્રેસના નેતાઓ નિશ્ચિત પરાજય માટે કયા બહાના કરવા તેના વિશે વિચારીે રહ્યા છે. તેમના બહાનાઓના કારણોમાં ખામીવાળા ઇવીએમનો સમાવેશ હશે. કર્ણાટકના ખેડૂતો માટે કોંગ્રેસ પક્ષો શું કર્યું ? તેના વિશે પ્રશ્ન કરતા મોદીએ જણાવ્યું કે રાજ્યના લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે મહત્વના મંત્રાલયો સંભાળતા પ્રધાનો દિલ્હીમાં રાજકારણ કરવામાં વ્યસ્ત હતા. વડાપ્રધાને એવું પણ જણાવ્યું કે આ રેલીમાં ભારે સંખ્યમાં લોકો એકત્રિત થયા છે, કારણ કે તેઓ ભાજપને ટેકો આપવા માગે છે અને આગામી પાંચ વર્ષમાં બહેતર જીવનની મહત્વાકાંક્ષા ધરાવે છે. તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ અહીં ભગવાન બસાવેશ્વર સાથે જોડાયેલી જમીન પર છે. તેમની ફિલોસોફી સમાજના બધા વર્ગોને સંગઠિત રાખવાની છે પરંતુ દુઃખદ બાબત એ છે કે કોંગ્રેસની સરકાર તેમના સિદ્ધાંતોને અનુસરતી નથી. તેઓ બધા પોતાના વોટ વિશે ચિંતિત છે. વડાપ્રધાને એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગરીબોના લાભાર્થે સામાજિક સુરક્ષાની યોજનાઓ લાવી છે. અમારી સરકારે ૭૦ વર્ષથી જ્યાં વીજળી ન હતી એવા ગામડાઓનું વિદ્યુતકરણ કરવા માટે કામ કર્યું છે. વડાપ્રધાનના ‘પીપીપ કોંગ્રેસ’ કટાક્ષ બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી ‘વર્ક’ મોડ સાથે નહીં પરંતુ ‘સ્પીકર અને એરોપ્લેન’ મોડ પરના મોબાઇલ ફોન સાથે કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન પાસે બોલવા માટે અન્ય કોઇ મુદ્દાઓ નહીં હોવાથી તેઓ મારી સામે અંગત પ્રહારો કરી રહ્યા છે.