(સંવાદદાતા દ્વારા)
સુરત/અમદાવાદ, તા.૧૪
મોદી સરકાર ભલે ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી હોય પરંતુ અમે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ત્રણ જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે અને અમે દિલ્હીની ગાદી પર બેસીશું તો ખેડૂતોના દેવા માફ કરીશું. અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. એમ આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુરના ઐતિહાસિક લાલડુંગરી મેદાનથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, બજેટમાં ખેડૂતોના છ હજાર રૂપિયા આપવાની એટલે કે રોજના ૧૭ રૂપિયા આપવાની જાહેરાત કરી ગરીબ ખેડૂતોનું અપમાન કર્યું છે.
લોકસભાની આગામી ચૂંટણી પ્રચારનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના ધરમપુરથી પ્રારંભ કર્યો છે. ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનથી રાહુલ ગાંધીએ ૫ લોકસભા મત વિસ્તારોને આવરી લેતી સભાને આક્રમક મૂડમાં સંબોધતા મોદી પર પ્રહાર કરતા ચોકીદાર ચોર છે ના નારા લગાવી જણાવ્યું હતું કે, પહેલાં અચ્છે દિનના નારા લાગતા હતા હવે ચોકીદાર જ ચોર છેના નારા લાગે છે. જેમનો ઇશારો કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા થયેલા રાફેલ વિમાન સોદાના કૌભાંડ મુદ્દે હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાનને રાફેલ મુદ્દે આડેહાથ લેતા કહ્યું કે, ચોકીદારની ચોરી પકડાઈ ગઈ છે. અનિલ અંબાણીને એક ઝાટકે ૩૦ હજાર કરોડ આપી વાયુસેનાના પાયલોટોના ખીસ્સાના રૂપિયા છીનવી લીધા છે. ફાંસના રાષ્ટ્રપતિને પણ મોદીએ કહ્યુ એચએએલને હટાવો અંબાણીને આપો એટલે હવે ચોકીદાર ચોર છે ના નારા દેશ બહાર ફ્રાંસમાં પણ લાગે છે. બધાને ખબર છે પરંતુ આ ચોરી વિષે મોદી એક શબ્દ પણ બોલતા નથી. લોકસભામાં દોઢ કલાક ભાષણ આપ્યું તેમાં રાફેલનો ર પણ બોલ્યા નહીં, અને કોઈ સાથે તેઓ નજર પણ મિલાવી શકતા નથી.
આદિવાસીઓના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે,અમારી લડાઈ જળ,જમીન અને જંગલના મુદ્દે છે.વિકાસના કામોનો વિરોધ નથી પણ ખેડૂતોને જમીનના ઓછા ભાવો આપીને આ કરવું યોગ્ય નથી. સાગરમાલા,ભારતમાલા, બુલેટટ્રેન,ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરના નામે આદિવાસીઓની જમીનના નાણાં ઓછા આંકવાની વૃત્તિ નહીં ચાલે. અમે ભૂમિ અધિગ્રહણ બીલ લાવેલા તેમાં મોદીએ ફેરફાર કરીને તેની શક્તિ ઘટાડી નાખી છે. અમે સત્તા ઉપર આવશું તો ફરી એ બીલ લાવીશું છત્તીસગઢમાં ટાટાએ પાંચ વર્ષમાં કામ ન શરૂ કરતાં જમીન ખેડૂતોને પરત કરવી પડી છે. તેમણે ખેડૂતોના દેવા માફીના વચન અંગે કહ્યું કે, અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ૧૦ દિવસમાં દેવા માફીની વાત કરી હતી. પરંતુ પાંચ કલાક અને ત્રણ દિવસમાં દેવા માફ થયાં કરાયા છે. ઉદ્યોપતિઓના દેવા જ્યારે મોદી સરકાર માફ કરતી હોય, ત્યારે અમે તો ખેડૂતોના દેવા માફ કરીશું.વધુમાં તેમણે હાલના વચગાળાના બજેટની ટીકા કરતાં જણાવ્યું હતું કે બજેટમાં છ હજાર રૂપિયા આપવા પર પાંચ મિનિટ બધાએ તાળીઓ પાડી. પરંતુ આ તાળીઓ નહોતી આ ગરીબ ખેડૂતોનું અપમાન કહેવાય. અમે સાડા ત્રણ કે સત્તર રૂપિયા નહીં પરંતુ અમે ડાયરેક્ટ ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરાવીશું. અમે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ.
નોટબંધી ઉપર બોલતાં રાહુલે જણાવ્યું હતું કે દેશમાં રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાત કરીને મોદીએ દેશને લાઈનમાં લગાવી દીધો હતો. આ લાઈનમાં કોઈ કરોડપતિ જોવા નહોતો મળ્યો. અનિલ અંબાણી ક્યાંય દેખાયા નહોતાં. અમિત શાહના પુત્ર જય શાહના ૭૦૦ કરોડ વાઈટ થઈ ગયાં અને કરોડપતિઓના રૂપિયા પાછલા દરવાજે બેંકમાં જતાં હતાં. શું મોદી તમામ ગરીબો અને નાના કામદારોને ચોર સમજે છે ? કાળું નાણું આવવાનું તો દૂર રહ્યું પરંતુ અર્થતંત્રની કમર નોટબંધીએ ભાંગી નાખી છે.
જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહેતા રાહુલે કહ્યું હતું કે, જીએસટીએ નાના અને મધ્યમ દુકાનદારોથી લઈને વેપારીઓના ધંધા ભાંગી નાખ્યાં છે. કેન્દ્રની મોદી સરકારે હાલમાં પાંચ પ્રકારના ટેક્સ રાખ્યાં છે. અમારી સરકાર બનશે એટલે પારદર્શક જીએસટી લાવીશું. જેમાં આટલી જટીલતા નહી હોય ઈન્કમટેક્સ પોલિસી કોઈને ડરવાની જરૂર નહીં રહે તમામના ધંધા યોગ્ય રીતે ચાલશે. અને બધા સન્માન જનક જીંદગી જીવશે.ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફરિયાદ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે મને ઓછો બોલાવો છો. મને અહીં બહુ ગમે છે અહીંના લોકો અહીંનું જમવાનું બહુ ભાવે છે. મને અહીં ખૂબ પ્રેમ મળ્યો છે મને વધારે બોલાવો અને જ્યારે પણ ગુજરાતીઓને મારી જરૂર હશે અડધી રાત્રે પણ આવવા તૈયાર છું. ગુજરાતે હંમેશા દેશને દિશા બતાવી છે. ફરી દેશને જોડવાનું કામ ગુજરાતમાંથી થાય તેવી આશા રાખતા હોવાનું રાહુલે વધુમાં ઉમેર્યું હતું.
મનકી બાત કરતા વડાપ્રધાનની જેમ અમે એવી વાતો નહી કરીએ અમે તમારા માટે કામ કરવાના છીએ. અમારા માટે તમે માલિક છો માટે તમારી વાત અમે સાંભળીશું અમે જ્યાં સરકારમાં છીએ ત્યાં લોકોના મનની વાત સાંભળીએ છીએ અમારી વાતો કરતાં નથી. અમારૂં કામ તમારા હુકમને પુરા કરવાનું છે તમને હુકમ આપવાનું કે લાઈનમાં લગાવવાનું નહીં.કોંગ્રેસની ખરાબ હાલતમાં વર્ષોથી સહારો બનનારા લાલ ડુંગરી મેદાન ખાતે મોટી સંખ્યામાં આદિવાસીઓ અને કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓએ આ રેલીને રેલી નહીં પરંતુ રેલો ગણાવતા ફરીથી આ ધરમપુરથી દેશને નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અમે માત્ર વાતો નથી કરતા, ત્રણ રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યાં, હવે દેશભરમાં કરીશું

Recent Comments