ઉરીથી લઇને ગુરેજ સુધી અનેક સેક્ટરોમાં કોઇપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો, નમ્બાલા અને બારામુલામાં આર્મીના બે સૈનિકો શહીદ, હાજીપીર સેક્ટરમાં મ્જીહ્લના સબઇન્સપેક્ટર ઘાયલ, ઉરી અને બારામુલામાં બે નાગરિક તથા બાલાકોટમાં એક મહિલાનું મોત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
જમ્મુ-કાશ્મીરમાં આજે એલઓસી પાસે પાકિસ્તાન દ્વારા ભારે ફાયરિંગ તથા મોર્ટાર મારો કરવાને પગલે સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં ભારતના ૪ જવાનો શહીદ થયા છે અને ૩ નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. ભારતીય સેનાએ તત્કાળ બદલો લેતાં પાકિસ્તાનના એક બંકર પર હુમલો કરતા આખું બંકર ફૂંકી માર્યું હતું જેમાં આઠ પાકિસ્તાની સૈનિક મોતને ભેટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના દ્વારા કરવામાં આવેલી તત્કાળ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના ૮ સૈનિકોને ઠાર માર્યા છે. જેમાં પાકિસ્તાનના ૨-૩ એસએસજીના કમાંન્ડો પણ શામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ૧૦ થી ૧૨ જવાનો ઘાયલ થયા છે. જેથી પાકિસ્તાની સેનાના જવાનોનો મૃતાંક વધે તેવી શક્યતા છે. પાકિસ્તાન દ્વારા ઉરીથી લઇને ગુરેજ સુધીના અનેક સેક્ટરોમાં એકસાથે હુમલા કરાયા હતા. જેમાં સેનાએ કહ્યું છે કે, તેણે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે પરંતુ ભારતી સેનાએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી કોઈ જ કારણ વગરની ઉશ્કેરણીજનક હરકત કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ ઉરીથી લઈને ગુરેજ સુધીના વિસ્તારોમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું જેનો ભારતીય સેનાએ તત્કાળ જવાબ આપતા ૮ સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતાં. આ અગાઉ ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે એલઓસીની નજીક કુપવાડા ના કેરનથી બારામુલા ના ઉરી સેક્ટરમાં અનેક થેકાણે પાકિસ્તાન તરફથી ભિષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સામે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. બારામુલામાં પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ નાપાક હરકતમાં ઘાયલ થયેલા બીએસએફના જવાન રાકેશ દોભાલ શહીદ થયા છે. રાકેશ ડોભાલ ઉત્તરાખંડના ઋષિકેશના ગંગાનગરના રહેવાસી હતાં. તે બીએસએફ આર્ટી રેજિમેંટમાં હતાં અને કોન્સ્ટેબલ પદે તૈનાત હતાં. આ ગોળીમારમાં સેનાના બે જવાનો પણ શહીદ થયા હોવાના અહેવાલ છે. જ્યારે ૩ નિર્દોષ નાગરિકોના પણ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. અન્ય એક નાગરિકની સ્થિતિ હજી પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેનાના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સરહદની નજીકના ગામડાઓના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે, જ્યારે એક મહિલા પણ ઘાયલ થઈ છે. પાકિસ્તાન તરફથી આજે બારામોલ્લા જીલ્લાના હાજીપીર વિસ્તારમાં ગોળીબા કરવામાં આવ્યો. આ ઉપરાંય તંગધાર સેક્ટર અને ગુરેજ સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર, મોર્ટાર મારો કર્યો હતો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ સરહદે અડીને આવેલા ગામના લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ગુરેજ, તંગધારમાંથી કેટલાક લોકોને હટાવી પણ લેવાયા છે.