(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મગફળીના વિપુલ ઉત્પાદન પછી ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદવાનો ખેડુતલક્ષી હિતકારી નિર્ણય કર્યો હતો. ખરીદીના ત્વરિત અમલ માટે રાજ્ય સરકારે ધનિષ્ઠ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં ૧૦૭ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરી દેવામાં આવી છે તા ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૭થી મગફળીની ખરીદીનો આરંભ કરી શકાય તે માટે તમામ આગોતરી કાર્યવાહી થઈ ગઈ છે. રાજ્યના ખેતી નિયામકે રાજ્ય સરકારના આ ખેડુત હિતકારી નિર્ણયથી વધુ વિગતો આપતા કહ્યું હતું કે, નિર્ણય કરીને ખેડુતોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને વધુ ઝડપથી અમલ થાય તે માટે કેન્દ્ર સરકારની નાફેડ તથા રાજ્ય સરકારની પાંચ એજન્સીઓને નોડેલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ૯૦૦ના પ્રતિ મણના ભાવે રાજ્ય સરકાર મગફળી ખરીદશે અને ખેડુતોના ભાગમાં મણદીઠ ૨૫૦ વધારાના આવશે. કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડ તથા રાજ્ય સરકારની ગુજરાત કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લિ. ગુજકોટ સાબર ડેરી, બનાસ ડેરી, એગ્રી બિઝનેસ કન્સોર્ટીયમ પ્રોડ્યુસર તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમીટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે. જેના દ્વારા ૧૦૭ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અંદાજે ૩૨ લાખ મે.ટન મગફળી થવાનો અંદાજ છે જેથી ખેડુતોને અંદાજે ૫૦૦ કરોડ જેટલી વધારાની રકમ મળશે. ખેડુતોને આ નાણાં સમયસર અને પારદર્શી પદ્ધતિથી મળી રહે તે માટે ખેડુતોના બેન્ક એકાઉન્ટમાં એક સપ્તાહમાં જમા આપી દેવાશે.