(એજન્સી) તા.ર૩
શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉત્તર ર૪ પરાગણા જિલ્લામાં આવેલા કાચુઆ વિસ્તારના લોકનાથ મંદિરમાં નાસભાગ મચી જતા ઓછામાં ઓછા ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ર૦થી વધુ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે ભારે વરસાદના કારણે મંદિરમાં કામચલાઉ રીતે કરવામાં આવેલુ બાંધકામ પડી જતાં નાસભાગ સર્જાઈ હતી. બેનરજીએ કહ્યું હતું કે મંદિર તરફ જઈ રહેલા માર્ગ પર ઉભા કરવામાં આવેલા વાંસના માળખા નીચે લોકોએ આશ્રય લીધો હતો. ત્યારે વરસાદના કારણે આ માળખુ પડી ગયું હતું. આ દરમ્યાન અંધાધૂંધી સર્જાતા લોકોએ સાંકડી જગ્યામાંથી નીકળવા ધક્કામુક્કી કરી હતી. મમતા બેનરજીએ કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જઈ ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના પરિવારને રૂા.પ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ લોકોને રૂા.૧ લાખની સહાય તેમજ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂા.પ૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.