(એજન્સી) કોલકાતા, તા. ૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીમમતા બેનરજીએ બુધવારે લોકોના એવા ભયને દૂર કર્યો હતો કે, રાજ્યમાં એનઆરસી પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. મિદનાપુરમાં દેબરા ખાતે વહીવટી અધિકારીઓની એક બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં એનઆરસી લાગુ થવાની બીકે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તે આઘાતજનક બાબત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે બંગાળમાં એનઆરસી લાગુ નહીં થાય. મુખ્યમંત્રીએ આ પહેલા પણ ઘણીવાર કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તેઓ એનઆરસી લાગુ થવા દેશે નહીં. સરકારી સૂત્રોએ મંગળવારે દાવો કર્યો હતો કે, એનઆરસીના ભયને કારણે અત્યારસુધી ચાર લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે જરૂરી દસ્તાવેજો કઢાવવાની લાઇનોમાં ઉભા રહીને ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. બેનરજીએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો કાર્યક્રમ રાશન કાર્ડને બદલીને ડિજિટલ કરવાનો છે જેની શરૂઆત ખરેખર ૯ સપ્ટેમ્બરથી શરૂ થઇ છે અને ૨૭મી સપ્ટેમ્બર સુધી ચાલશે. દરેકને મદદ કરવા માટે આ કાર્યક્રમ ફરીથી પાંચમી નવેમ્બરથી ૩૦મી નવેમ્બર સુધી શરૂ કરાશે અને રાજ્યના દરેક તથા બધાન નાગરિકોને મદદ મળશે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે બંગાળના વિવિધ ભાગોમાં બીડીઓ અને અન્ય કચેરીઓ બહાર લોકો જરૂરી દસ્તાવેજો માટે કતારો બનાવીને ઊભા રહ્યા છે. લોકોમાં એવી દહેશત ફેલાઇ છે કે, ભવિષ્યમાં રાજ્યમાં એનઆરસી લાગુ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે, બંગાળમાંએનઆરસી લાગુ કરવામાં આવશે જેનાથી લોકોમાં દહેશતનો માહોલ છે. મમતાએ જણાવ્યું કે, તહેવારો બાદ ફરીવાર રાજ્ય સરકાર ડિજિટલ રેશન કાર્ડનું કેમ્પેન ચલાવશે અને હવે નવું રાશન કાર્ડ બે કલરમાં હશે. મમતાએ જણાવ્યું કે, ડિજિટલ રાશન કાર્ડનો એક સેટ હશે જેને લોકો પોતાના પુરાવા તરીકે રાખશે જ્યારે બીજા કલરના કાર્ડમાં જે લોકો સબસિડીવાળા ખાદ્ય પદાર્થો લેવા માટે હકદાર છે તેઓ રાખી શકશે સાથે જ તેમના ઓળખના પુરાવા તરીકે પણ માન્ય ગણાશે. તેમણે ડિજિટલ રાશન કાર્ડ બનાવવા માટે વચેટિયાઓને સાવધાન કર્યા હતા. તેમણે કહ્યું કે, સચિવાલયના નિર્દેશોનું પાલન નહીં કરતા હોવા અંગે કેટલાક સરકારી અધિકારીઓ અંગે ફરિયાદ મળી છે. કેટલાક અધિકારીઓ સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે. આવું ચાલશે નહીં.