(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચૂંટણી રેલીના દાવાને જોરદાર રીતે ફગાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે મોદીના આક્ષેપો તથ્યવિહન છે.તેમણે કહ્યું કે મોદી જુઠાણા ચલાવી રહ્યાં છે અને તેમણે આ મુદ્દે માફી માંગવી જોઈએ. કોંગ્રેસે પણ મોદીના દાવાને અત્યંત બેજવાબદાર અને નિંદનીય ગણાવ્યાં અને મોદીની માફીની માંગ કરી. મોદીને જવાબ આપતાં રાહુલ ગાંધીએ આજની ચૂંટણી સભામાં કહ્યું કે મોદી જાપાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વિશે વાતો કરી રહ્યાં છે પરંતુ આ ગુજરાતની ચૂંટણી છે અને થોડું ગુજરાત વિશે પણ બોલો તો ખરા. સિંહે કહ્યું કે વડાપ્રધાન દેશને કહેવું જોઈએ કે શા માટે તેમણે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈને પઠાણકોટ હુમલાની તપાસનું આમંત્રણ આપ્યું હતું. સિંહે કહ્યું કે છેલ્લા પાચ દશકાની મારી જાહેર સેવાનો ટ્રેક રેકોર્ડ બધાને ખબર છે મોદી સહિત કોઈએ ફક્ત મતો લેવા માટે પણ મારી પર આવી વાત કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હું આશા રાખુ છું કે મોદીમાં થોડી પરિપક્વતા આવશે અને તેઓ જે હોદ્દા પર બેઠા છે તેને છાજે તેવું વર્તન કરશે. મને આશા છે કે મોદી આ મુદ્દે રાષ્ટ્રની માફી માંગશે અને તેઓ જે હોદ્દા પર બેઠા છે તેને છાજતું વર્તન કરશે. મનમોહનસિંહે કહ્યું કે ગુજરાતમાં હાર ભાળી ગયેલા મોદીએ મરણિયા બનીને અપશબ્દો બોલી રહ્યાં છે અને ડૂબતો તણખલું પકડે તેવો વ્યવહાર કરી રહ્યાં છે. દરેક બંધારણીય પદને ગરીમાને લાંછન લગાડવા માટે મોદી પોતાની સત્તાભૂખથી ખતરનાક દાખલો બેસાડી રહ્યાં છે. મોદીએ એવો દાવો કર્યો કે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવાસસ્થાને પાકિસ્તાની અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક યોજાઈ હતી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તે બેઠકમાં હાજર હતા. મોદીએ કહ્યું કે પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમા માથું મારી રહ્યું છે. મોદીએ કહ્યું કે મણિશંકર ઐયર શા માટે ગુપ્ત રીતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને મળ્યાં હતા તેનો કોંગ્રેસ ખુલાસો આપે.