(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૩
ગુજરાતમાં દારૂ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ધુંઆપુંઆ થઈ ગયા હતા, ત્યારે હવે તેમની જ પાર્ટીના સાંસદે ગુજરાતમાં દારૂ અંગે નિવેદન આપી ભાજપ સરકારની પોલ ખોલી નાખતા સરકારની ફજેતી થવા સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. ભરૂચના ભાજપના સાંસદ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા મનસુખ વસાવાએ આજે એક કાર્યક્રમમાં દારૂ મુદ્દે નિવેદન આપી ફરી વિવાદ ઊભો કર્યો છે. ગુજરાતના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે, રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય પણ ગુજરાતનાં ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો એકરાર કાંઈક અલગ રીતે જ કરી નાંખ્યો. આજે રાજપીપલા ટાઉનહોલ ખાતે યોજાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમમાં તેઓએ ગુજરાતમાં દારૂ મળે છે કે કેમ ? તે બાબતે પૂછાયેલા પ્રશ્ન બાબતે જણાવ્યું કે, આખી દુનિયાને ખબર છે અને જો હું ના કહું તો હું ખોટો પડું ! વધુમાં પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે, ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો એ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે, અને પોટલીથી તો નુકસાન જાય જ છે પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે તેનાથી તો વધુ નુકસાન જાય છે. કાર્યક્રમ તો હતો ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અને તેમાં પણ કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્રારા નિર્મિત વાંસમાંથી બનાવેલ બોટલનાં નિદર્શન અને લોચિંગનો, બોટલને હોંશે હોંશે નેતાઓ અને અધિકારીઓએ લોન્ચ પણ કરી અને તેના ફાયદા ગણાવ્યા અને પ્લાસ્ટિકની બોટલનાં ગેરફાયદા ગણાવી દીધા, પણ જ્યારે મીડિયાએ પૂછ્યું કે, આ કાર્યક્રમમાં જ મહેમાનો માટે જાહેર સ્ટેજ પર પ્લાસ્ટિકની બોટલ મુકાઈ છે ત્યારે સાંસદે જણાવ્યું કે, હા અમે સ્વીકારીએ છે કે, દરેક કાર્યક્રમમાં આવું જ થાય છે, કલેકટર નર્મદાએ ધ્યાન પણ દોર્યું છે, અને હું પણ કહું છું કે આની શરૂઆત આપણાથી કરવી જોઈએ અને પ્લાસ્ટિકની બોટલ ન મૂકાવી જોઈએ.
ગુજરાતમાં દારૂ અંગે નિવેદન આપી ભાજપ સાંસદે જ સરકારની પોલ ખોલી !

Recent Comments