(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાનના શપથ સમારંભમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ શપથ સમારંભમાં પાકિસ્તાનના સૈન્ય વડા કમર જાવેદ બાજવાને ભેટવા બદલ દેશમાં વિવાદનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની મુલાકાત અંગે તેમણે મંગળવારે જણાવ્યું કે તેમનો પાડોશી દેશનો પ્રવાસ રાજકીય ન હતો અને તેમના મિત્ર ઇમરાનખાનના આમંત્રણ પર તેઓ પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાન સૈન્ય વડાને ભેટવા અંગે પોતાનો બચાવ કરતા સિદ્ધુએ પત્રકારોને જણાવ્યું કે એ માત્ર એક ‘સામાન્ય માનવીય પ્રતિક્રિયા’ હતી. જોકે, તેમણે એવો પ્રશ્ન પણ કર્યો કે જો કોઇ તમારી તરફ મૈત્રીનો હાથ લંબાવે તો શું તમે તેને તમારી પીઠ બતાવશો ? દરમિયાન, સિદ્ધએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણનો અંત આણવાનો એક માત્ર માર્ગ મંત્રણા છે.
નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે અગાઉ પણ ભારત તરફથી પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ બસ લઇને લાહોર ગયા હતા. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરર્ફને ભારત આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને વાજપેયી મુશરર્ફ સાથે આગરા પણ ગયા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવાઝ શરીફને પોતાના શપથ સમારંભ માટે આમંત્રિત કર્યા હતા અને નવાઝ શરીફની પુત્રીનાં લગ્ન દરમિયાન તેઓ ઓચિંતા લાહોર પહોંચી ગયા હતા. તે વખતે પણ ગોળીબાર થઇ રહ્યો હતો અને આપણા દેશના જવાન શહીદ થઇ રહ્યા હતા. હું આશા રાખું છું કે પાકિસ્તાનમાં નવી સરકારની રચના થઇ છે તો બંને દેશોના સંબંધો સુધરશે.
પાકિસ્તાનના સૈન્ય વડાને ભેટવા બદલ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ દ્વારા કરવામાં આવેલી તેમની ટીકાનો સીધો જવાબ આપવાનો સિદ્ધુએ ઇનકાર કર્યો હતો પરંતુ જણાવ્યું કે કેપ્ટન અમરિન્દરસિંહ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ આ બાબતે બોલ્યા છે. આ લોકશાહી છે અને બધાને પોતાની વાત કહેવાનો અધિકાર છે.
સિદ્ધુએ કહ્યું કે મને ૧૦ વાર આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મેં ભારત સરકાર પાસે પરવાનગી માગી હતી. મને મંજૂરી ન મળી અને હું રાહ જોઇ રહ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાન સરકારે વિઝા આપ્યો. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાત્રે ફોન કરીને બતાવ્યું કે મને પાકિસ્તાન જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હું જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પુરી કરીને સરકાર પાસેથી મંજૂરી લીધા બાદ જ પાકિસ્તાન ગયો હતો.
ઇમરાનખાને નવજોત સિદ્ધુને શાંતિના રાજદૂત ગણાવ્યા,
કહ્યું ભારત-પાકે. વિવાદો ઉકેલવા મંત્રણા કરવી જોઇએ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને હવે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાનના શપથ સમારંભમાં ભાગ લેવા તેમ જ પાકિસ્તાની સૈન્ય વડા જનરલ બાજવાને ભેટવા બદલ દેશમાં ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલા નવજોતસિદ્ધુના સમર્થનમાં હવે ઇમરાનખાને પોતે આવી ગયા છે. ઇમરાનખાને તેમના શપથ સમારંભમાં આવવા બદલ માત્ર સિદ્ધુનો આભાર જ માન્યો નથી પરંતુ સિદ્ધુને શાંતિના રાજદૂત પણ ગણાવ્યા છે. ઇમરાનખાને જણાવ્યું કે જે લોકો પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુની ટીકા કરી રહ્યા છે તેઓ આ ઉપખંડમાં શાંતિનું બહુ મોટું નુકસાન કરી રહ્યા છે અને શાંતિ વગર આપણા લોકો પ્રગતિ કરી શકતા નથી. ઇમરાનખાને એવું ટિ્વટ પણ કર્યું કે સિદ્ધુ શાંતિના રાજદૂત છે અને પાકિસ્તાનની જનતાએ સિદ્ધુને પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ઇમરાનખાને એવું પણ કહ્યું કે આગળ વધવા માટે ભારત અને પાકિસ્તાને જરૂર મંત્રણા કરવી જોઇએ અને કાશ્મીર મુદ્દા સહિત બધા વિવાદો ઉકેલવા જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે આ ઉપખંડમાં ગરીબી દૂર કરવા અને લોકોના ઉત્કર્ષની સૌથી સારી રીત મંત્રણા દ્વારા વિવાદોના ઉકેલ અને વેપાર શરૂ કરવાની છે.
નવજોત સિદ્ધુનું માથું કાપનારને ૫ાંચ લાખ
રૂપિયા આપીશુંં : બજરંગદળની જાહેરાત
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
બજરંગ દળે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુનું માથું કાપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ બાજવાને ભેટવા અને ઇમરાનખાનના શપથ સમારંભમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવા બદલ બજરંગ દળે આ જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં બજરંગદળના આગરાના જિલ્લાધ્યક્ષ સંજય જાટે સિદ્ધુનું માથું કાપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત છે અને વીડિયોમાં સંજય જાટ પાંચ લાખ રૂપિયાનો ચેક પણ બતાવતા જોઇ શકાય છે. વીડિયોમાં સંજય જાટ એવી જાહેરાત કરી રહ્યા છે કે સિદ્ધુનું માથું કાપીને તેમની પાસે લાવનારને આ ચેક આપવામાં આવશે. વીડિયોમાં સંજય જાટ સિદ્ધુને ગદ્દાર કહે છે અને તેમનો ગુનો માફ કરી શકાય નહીં, સિદ્ધુ સામે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવે, એમ કહેતા પણ સાંભળી શકાય છે. બજરંગ દળના નેતાએ સિદ્ધુના તાજનગરી આગરામાં પ્રવેશ સામે પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. જાટે કહ્યું કે જો સિદ્ધુ ક્યારેય આગરા આવશે તો લોકો જૂતાઓથી તેમનું સ્વાગત કરશે. જાટે પંજાબ વિધાનસભામાંથી સિદ્ધુનું સભ્યપદ રદ કરવાની પણ માગણી કરી છે.