(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૪
સૌરાષ્ટ્રના વીંછિયામાં એક વેપારી ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવાના બનાવ અંગે રાજય સરકારના કેબિનેટ મંત્રી માર્ગ ઉપર ઉતરી આવી ચીમકી જેવી ભાષામાં સરકાર સામે પડતા ચર્ચા સાથે વિવાદ ઉભો થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સરકારમાં કોગ્રેસમાંથી રાજીનામું આપી જોડાયેલા મંત્રી કુંવરજી બાવળિયાએ ફાયરિંગના બનાવમાં ન્યાય નહીં મળે તો સત્તા છોડવાની આજે ચીમકી ઉચ્ચારતા ચર્ચા શરૂ થઈ જવા પામી છે. થોડા દિવસ પહેલા જૂની અદાવતમાં વીંછિયામાં ઓફસેટના વેપારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. વેપારી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. વેપારી પર થયેલા ફાયરિંગ મામલે આજે વીંછિયાના નવા બસસ્ટેન્ડમાં રાજકીય નેતાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજૂઆત કરીશું અને જો ન્યાય માટે સત્તા છોડવાની જરૂર પડશે તો તે પણ છોડી દઇશું. ફાયરિંગ મામલે યોજાયેલા સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર ૫ણ આપવામાં આવ્યું હતું. પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને લઇ સરકારની કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. આરોપીઓને પકડી પાડી સજા કરવી જોઇએ. તેવી માંગ તેમણે કરી હતી.