(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૪
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ આજે જણાવ્યું હતંુ કે ભાજપના અધ્યક્ષ અમિત શાહને કોઈ નૈતિક અધિકાર નથી જેથી એ મારી સરકારને ભ્રષ્ટાચારી કહી શકે. અમારા શાસનકાળમાં કોઈ પણ કોંગ્રેસી નેતા ભ્રષ્ટાચારના આક્ષેપો સબબ જેલમાં ગયો નથી જે રીતે ભાજપના શાસનમાં ભાજપ નેતાઓ જેલમાં ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે શાહ વારેઘડીએ મારી સરકાર વિરૂદ્ધ ખોટી વાતો કરે છે જે કહેવાનો એમને કોઈ અધિકાર નથી. અમિતશાહે સિદ્ધરામૈયા સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સિદ્ધરામૈયા છંછેડાયા હતા. અમિત શાહ હાલમાં જ કર્ણાટક ત્રણ દિવસ માટે ગયા હતા. આવતા વર્ષની શરૂઆતમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેના ભાગરૂપે શાહ કર્ણાટક ગયા હતા. ગોવાના નેતાઓ અને સાંસદો, ધારાસભ્યો સાથે મહાદયી નદીના પાણી વિવાદ ઉકેલવા મીટિંગ યોજાઈ હતી. એ મીટિંગ પછી પત્રકારો સાથે વાતચીતમાં સિદ્ધરામૈયાએ જણાવ્યું હતું. એમણે કહ્યું કે શાહની બાજુમાં જ ભ્રષ્ટાચારીઓ બેસે છે. એ અમારી બાબત આ પ્રકારની વાતો કઈ રીતે કહી શકે છે. અમારી સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી મુક્ત સરકાર છે છેલ્લા ૪ વર્ષથી અમારી સરકારનો કોઈ નેતા જેલમાં ગયો નથી જે રીતે પાછલી ભાજપ સરકારના નેતાઓ જેલમાં ગયા હતા. શાહ ચૂંટણીનો બ્યુગુલ ફૂંકવા ગયા હતા. એમણે સિદ્ધરામૈયાની સરકારને ઉખાડી ફેંકી હાકલ કરતાં સૂત્ર આવ્યું હતું ‘અબ કી બાર ભાજપ સરકાર’. એમણે સિદ્ધરામૈયા સરકારને ભ્રષ્ટાચારી કહી હતી.