(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨
સુરત શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં સંકળાયેલા આસારામ બળાત્કારી પુત્ર નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાનને અદાલતે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂા.૧ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યા બાદ લાજપોર સેન્ટ્રલ જેલમાં પ્રથમ ત્રણ મહિના સુધી એટલે કે સોંપેલા કામથી વાકેફ ન થાય ત્યાં સુધી જેલ મેન્યુઅલ પ્રમાણે નારાયણ સાંઈને કોઈપણ પ્રકારનું વેતન મળશે નહીં. જો કે, કામથી વાકેફ થયા બાદ તેને નિયમ મુજબ ૭૦, ૮૦ કે રૂા.૧૦૦ સુધીનું વેતન મળી શકે છે. એવું જેલ સત્તાવાળાઓ દ્વારા જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ૬ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ નારાયણ સાંઈ સામે શહેરની પીડિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર્જફ્ેમ થયા બાદ તેની સામે ઈન્સાફી કાર્યવાહી પૂરી થતા અદાલતે નારાયણ સાંઈ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. નારાયણ સાંઈને આજીવન કેદ, ગંગા, જમના તથા હનુમાનને ૧૦-૧૦ વર્ષની સખત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા બાદ તેઓની પાસે કોઈ રીતની કામગીરી લેવામાં આવશે. તે અંગે જેલ સત્તાવાળાઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કાચા કામના કેદીને સજાનો હુકમ થાય ત્યાર પછી પુરૂષ કે સ્ત્રી પાકા કામનો કેદી ગણાય છે. એટલે તેઓને કેદી નંબર આપવામાં આવે છે. તેઓને કપડા પણ જેલમાંથી જ આપવામાં આવે છે. જમવાનું પણ જેલનું હોય છે. કામગીરી માટે તેઓને વિતરણ વ્યવસ્થા કરવા માટે જેલની વર્ક એલોટમેન્ટ કમિટી તથા ડોક્ટરની મેડિકલ ટીમ તેઓની શારીરિક ક્ષમતા જોઈને કામની સોંપણીનો પ્રકાર નક્કી કરે છે. જેલમાં ત્રણ પ્રકારનું કામ કરવાનું હોય છે. ભારે હલકુ તથા મધ્યમ પહેલા ત્રણ મહિના નારાયણ સાંઈ સહિતના અન્ય આરોપીઓ સોંપવામાં આવેલા કામથી વાકેફ ના થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનું વેતન આપવામાં આવતું નથી. ત્રણ મહિના પછી કામથી વાકેફ થયા પછી નિયમ મુજબ ૧૦૦ રૂપિયા સુધીનું વેતન આપવામાં આવે છે. કેદી શિક્ષિત હોય તો તેઓ ભણાવવાનું તથા ઓછુ ભણેલો હોય તો સ્વચ્છતાનું કામ સોંપવામાં આવે છે.