જામનગર,તા.૪
જામનગર શહેર અને જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ૯૬૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદી જામનગરના એરફોર્સ ખાતે આવી પહોંચતા કલેક્ટર સહિત રાજકીય નેતાઓએ તેમનું સ્વાગત કર્યં હતું. બાદમાં જી.જી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ દર્દીઓ સાથે સારવાર અંગે વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં નિરિક્ષણ કરી હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. જામનગરમાં નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન હોસ્પિટલમાં ૭૦૦ બેડની સુવિધા સાથે ૨૨ વોર્ડ, રેડિયોથેરાપી, મેડીસીન, પીડીયાટ્રીક તથા સાઇકીયાટ્રીક વિભાગ, સેમીનાર રૂમો, લાઇબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામા આવી છે. નવનિર્મિત હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ઘનિષ્ટ સારવાર માટે રેડિયોથેરાપી, કિમોથેરાપી OPD તથા IPD મનોચિકિત્સા સેવાઓ, ECT EEG તથા હિપ્નોથેરાપી CCU, ૨૦ બેડનું ડાયાલીસીસ યુનિટ, ઈમરજન્સી સેવાઓ, કિશોરાવસ્થા કલીનીક, બાળકો માટે ઈમરજન્સી સેવાઓની સુવિધાઓનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું છે. હોસ્પિટલ સાથે નવનિર્મિત એમ.પી.શાહ મેડિકલ હોસ્ટેલમાં પણ નવી સુવિધાઓ જેવી કે રીડીંગ રૂમ, કેન્ટીન, મનોરંજન રૂમ મેડિકલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. નર્મદાના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત પર અવલંબિત રહેવાને બદલે સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સ્ત્રોત ઉભો કરવાના હેતુથી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળ સલામતી પ્રદાન કરવાના હેતુથી દરિયાના ૪૫૦૦૦ ટીડીએસ ધરાવતા ખારા પાણીમાંથી ૫૦૦ ટીડીએસવાળું મીઠું પાણી બનાવવા માટેના જોડિયા ખાતે સ્થપાનાર ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર મનપા હેઠળની આજી-૩થી ખીજડિયા સુધીની પ૧ કિ.મી.ની પાઈપલાઈન, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જામનગર મનપાના ૪૪૮ તેમજ જાડા વિસ્તારના ૧૦૦૮ આવાસોનું તેમજ ૧૦૦૦ની ક્ષમતાવાળી કુમાર અને કન્યા સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.