(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
રાજ્યમાં આ વખતે વરસાદ ઓછું રહેતા હજુ ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જ્યારે રાજ્યના ૧ લાખ ર૭ હજાર એકર વિસ્તારના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈ આ વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું નક્કી કર્યું છે. પીવાના પાણીની જરૂરિયાત જોતા તે સિવાયના પાણી સંગ્રહમાંથી દરરોજ ર૦ હજાર ક્યુસેક પાણી ર૦ દિવસ સુધી છોડવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને બચાવવા રાજ્યની ૧ લાખ ૨૭ હજાર એકર જમીનને નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી ૨૦ દિવસ સુધી ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા બંધમાં મર્યાદિત પાણી હોવા છતાં કરકસર ભર્યો ઉપયોગ કરીને આગામી સમયમાં પીવાના પાણીની સંભવિત જરૂરિયાતને ધ્યાને લઇને સિંચાઇ માટે આ પાણી છોડવાનો નિર્ણય લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ૧૧ પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલ લગભગ ૪૦૦ તળાવો, નહેર અને ધરોઈ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશઃ નર્મદાનું પાણી અપાશે. જેનાથી ૪૦,૦૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત ફતેવાડી અને ખારીકટ પિયત વિસ્તારમાં નર્મદાના પાણી આપી ઊભા પાકને બચાવવાનો નિર્ણય કરતા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે ૬૨,૦૦૦ એકર વિસ્તારને લાભ મળશે. સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના ૧૨૦૦ ક્યુસેક પાણીનું વહન કરીને આજી-૧, મચ્છુ-૨, વડોદ, આકડિયા, ભીમદાદ ગોમા જેવા બંધોમાં ક્રમશઃ નર્મદાનું પાણી પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે ૨૫,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાના પાણીનું સંકટ ટળશે. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યની પીવાની જરૂરિયાત માટે સમગ્ર જળ વર્ષમાં એટલે કે, જુલાઇથી જૂન સુધી અંદાજે ૧.૫ મીલિયન એકર ફૂટ પાણીની જરૂરિયાત રહે છે. જે માટે રાજ્ય સરકારે પૂરતું આયોજન કરેલ છે અને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ પાણીનું લેવલ ૧૨૫.૮૨ મીટર છે અને લગભગ ૧.૮૪ મીલિયન એકર ફૂટ પાણી એટલે કે, ૩૯% પાણીનો જીવંતસંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ત્રણ મુખ્ય બંધો બાર્ગી, તવા અને ઈન્દીરાસાગરમાં લગભગ ૧૦.૯૩ મીલીયન એકર ફુટ પાણીનું જીવંતસંગ્રહ છે. જેમાંથી રાજયને ફાળે ચાલુ સાલે ૫.૮૪ મિ.એ.ફૂ. હિસ્સો મળવાનો અંદાજ છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતાં ઊભા પાકને બચાવવા નર્મદા ડેમમાંથી પાણી છોડાશે

Recent Comments