અમદાવાદ,તા.૧પ
પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડુ/-વાયુ આગામી ૪૮ કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા.૧૭ કે ૧૮ જૂને કચ્છ જિલ્લાને સ્પર્શ એવી સંભાવના છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. વાયુ સામે લડવા માટે તંત્રએ NDRFની બે ટુકડીઓ કચ્છ મોકલી આપી છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ ૧૭ કે ૧૮ જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ ફરાતા તંત્રે રાહતનો શ્વાસ લીધી હતો. જો કે શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડાએ યુ-ટર્ન માર્યો હોય એમ કચ્છ તરફ આગળ વધવા લાગ્યું છે. જેથી તંત્ર ફરી એલર્ટ થઈ ગયું છે.