(એજન્સી) તા.ર૯
શુક્રવારે મુંબઈની કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય સાત લોકોને ર૦૧૪ લોકસભા ચૂંટણી પહેલાં કથિત રીતે પોલીસની મંજૂરી વગર રાજકીય રેલી યોજવાના કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. પોલીસે આગોતરી મંજૂરી લીધા વગર જાહેર રેલી આયોજિત કરવા બદલ આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ, કાર્યકર મેધા પાટકર અને મીરાં સાન્યાલ સહિત આઠ લોકો વિરૂદ્ધ વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે પી.કે. દેશપાંડેએ કેજરીવાલ સહિત અન્ય લોકોને નિર્દોષ જાહેર કરતી વખતે કહ્યું હતું કે પોલીસ આરોપીઓને રેલી માટે મનાઈનો આદેશ લેખિતમાં આપવામાં નિષ્ફળ ગઈ છે. ઉત્તર-પૂર્વ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં આપના ઉમેદવારો મેધા પાટકર અને મીરા સાન્યાલના પ્રચાર અભિયાન માટે આ રેલી આયોજિત કરવામાં આવી હતી.