(એજન્સી) શ્રીનગર, તા.ર૦
કાશ્મીરમાં સેનાના શહીદ જવાન ઔરંગઝેબના કુટુંબીજનો સાથે રક્ષામંત્રી સીતારમને આજે મુલાકાત કરી હતી અને એમનો જુસ્સો વધાર્યો હતો. મુલાકાત દરમિયાન એ ઔરંગઝેબના પરિવાર સાથે ઘણા સમય સુધી રોકાયા હતા. ઔરંગઝેબ ઈદને અનુલક્ષીને પોતાના ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાન એમનું અપહરણ કરાયું હતું. એ પછી ૧૪મી જૂને એમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલાં સોમવારે સેનાધ્યક્ષ બિપિન રાવત પણ શહીદ સૈનિકના પરિવાર સાથે મળ્યા હતા. રક્ષામંત્રી સીતારમન બુધવારે સવારે કાશ્મીર જવા માટે રવાના થયા હતા. એ પછી એ પૂંછ જિલ્લામાં આવેલ ઔરંગઝેબના ઘરે ગયા હતા. એમણે ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ અને ભાઈ સાથે મળી એમનો જુસ્સો વધાર્યો હતો. એમણે કહ્યું કે આ કુટુંબ દેશ માટે પ્રેરણા સમાન છે. રાજ્યમાં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર તૂટી ગયા પછી રાજ્યપાલ શાસન લાગુ થયું છે. રક્ષામંત્રીની આ મુલાકાત ત્રાસવાદીઓ સામે કડક વલણ અપનાવવાનો એક રાજકીય સંદેશ પણ છે. નિર્મલા સીતારમન કુટુંબ સાથે મળ્યા પછી જમ્મુમાં સેના અધિકારીઓ સાથે મીટિંગ પણ કરશે.
શહીદ ઔરંગઝેબના કુટુંબીજનો સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને મુલાકાત કરી કહ્યું આ કુટુંબ દેશ માટે ‘‘પ્રેરણા સમાન’’ છે

Recent Comments