(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૪
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સમક્ષ શહેરના ધારાસભ્યો, સંસદ સભ્ય, કોર્પોરેટરો, મેયર, સ્થાયી સમિતિનાં અધ્યક્ષ, ડે.મેયર સહિતના ભાજપના હોદ્દેદારોએ શહેરીજનોને છેલ્લાં ચાર મહિનાથી દૂષિત પાણીથી પીડાની પરેશાન કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બની છે. ડેમોમાં તળીયા દેખાયા છે. વડોદરા શહેરમાં પણ પાણીની માનવ સર્જીત તંગી ઉભી થઇ છે. છેલ્લાં ચાર મહિનાથી શહેરીજનો દૂષિત પાણી પી રહ્યાં છે. આજવા સ્થિત પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ હલ્કી કક્ષાનો બનાવવામાં આવ્યો હોવાને કારણે દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ છે. આના માટે મનપાના અધિકારીઓની બેદરકારી જવાબદાર છે. આ સંદર્ભમાં મનપાનું તંત્ર ઉઘાડુ પડી જવાથી પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટની મરામત શરૂ કરી છે. વિપક્ષે હોબાળો મચાવ્યા પછી વહીવટી તંત્ર અને ચુંટાયેલી પાંખે સ્વીકાર્યું હતું કે, આજવા નિમેટાનો પ્લાન્ટ હલ્કી ગુણવત્તાનો બનાવ્યો છે. આથી ઇજારદાર સહિત જવાબદાર અધિકારીઓ સામે મ્યુનિ. કમિશ્નરે પગલા ભર્યા હતા.
આજે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે સયાજીગંજ મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કચેરી ખાતે સંસદ સભ્ય, ધારાસભ્યો, કોર્પોરેટરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતમાં ભાજપના વિપક્ષ નેતા કમલેશ પરમારે રજૂઆત કરી હતી કે, પાદરા તાલુકામાં મહીસાગર કાંઠાના ગામડાઓમાં રહેતા એક લાખ લોકોને મહી નદીમાંથી પીવાનું પાણી મળતું નથી. એ ગામડાઓના લોકોને પાણી પુરૂ પાડવામાં આવે.
મિડીયા સાથેની વાતચીત દરમિયાન નિતિન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રભારીઓને તેમના જિલ્લામાં જઇ પાણીની સમસ્યા અંગે કાર્યકરો પાસેથી માહિતી મેળવી ચર્ચા કરવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત ખાતાઓના અધિકારીઓને પણ સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરવામાં આવી છે. વડોદરા શહેરના લોકોને શુદ્ધ પીવામાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. તેનું ટુંકમાં નિરાકરણ આવી જશે. બધા જ કોર્પોરેટરો પાસેથી માહિતી મેળવવામાં આવશે. જે ગામડાઓમાં જરૂર હશે ત્યાં ટેંકર મારફત પાણી પુરૂ પડાશે. નર્મદા નદીમાંથી એક માસમાં પાણી લેવામાં આવશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું.