નવી દિલ્હી,તા.૨૫
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર તથા વીવીએસ લક્ષ્મણને બીસીસીઆઈના લોકપાલ તથા નૈતિક અધિકારી ડીકે જૈને હિતોના ટકરાવને લઇ નોટિસ મોકલી છે. સચિન તેંડુલકર અને લક્ષ્મણ આઇપીએલ ફ્રેન્ચાઇઝીના મેન્ટર હોવાની સાથે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય પણ છે.
સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ અને વીવીએસ લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર છે. હિતોના ટકરાવનો આ ત્રીજો મામલો છે. આ પહેલા સૌરવ ગાંગુલીને ડીકે જૈન દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. ગાંગુલી હાલ ત્રણ પદ પર કાર્યરત છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ હોવાની સાથે ક્રિકેટ સલાહકાર સમિતિનો પણ સભ્ય છે. ઉપરાંત દિલ્હી કેપિટલ્સનો સલાહકાર પણ છે. ત્રણેય પૂર્વ ક્રિકેટર સીએસીના સભ્ય છે.
બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે કોઇ નાણાકીય કરાર નથી. ત્રણેય ખેલાડી સીએસીના સભ્ય તરીકે સ્વૈચ્છિક સેવા કરી રહ્યા છે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, ગાંગુલીને નોટિસ મોકલવામાં આવી હતી, જેના કારણે તેંડુલકર અને લક્ષ્મણને પણ નોટિસ આપવામાં આવી. પરંતુ હું એ વાતની પુષ્ટિ કરું છું કે મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી સચિન તેંડુલકર એક પણ રૂપિયો નથી લેતો. તે માત્ર સ્વૈચ્છિક કામ કરી રહ્યો છે.