ગાંધીનગર, તા.ર
રાજ્ય સરકારે ચૂંટણી પંચની મંજૂરી મળતા જ ગુમાસ્તાધારાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેથી મધ્યરાત્રિથી રાજ્યમાં ઓપન માર્કેટનો અમલ શરુ થઈ ગયો છે.
ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા (ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ર૦૧૯)ની અમલવારીનું જાહેરનામું ગેઝેટ દ્વારા બહાર પાડી દીધું છે. ગુજરાતના મોટા શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાના કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લા રાખી શકાશે. હવેથી પોલીસ કે અન્ય કોઈ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં, જો કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ મહાનગરો, નેશનલ હાઈ-વે, રેલવે સ્ટેશનો, એસટી બસ સ્ટેશનો કે હોસ્પિટલમાં આવેલા વ્યાવસાયિક સંસ્થાઓ ચોવીસ કલાક ખુલ્લા રાખી શકાશે. નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઈ-વે પરના સંસ્થાનો રાત્રે રથી ૬ના સમયગાળા સિવાયના કલાકો દરમિયાન ગમે ત્યારે ખુલ્લા રહી શકે. આ સિવાયના ગ્રામ્ય વિસ્તારો કે રોડ પરના સંસ્થાનો રાત્રે અગિયારથી વહેલી સવારે છ વાગ્યા સુધીના સમયગાળા સિવાયના કલાકોમાં ખુલ્લા રાખી શકાશે.
આરામકક્ષ, ઘોડિયાઘર, અલગ ટોઈલેટ, જાતિય સત્તામણીથી મુક્ત વાતાવરણ અને ઘરથી વ્યવસાયના સ્થળ અને પરત ઘરે આવવા વાહનની સગવડ મળે તો નાઈટ શિફટમાં મહિલા કર્મચારીઓ પાસે કામ કરાવી શકાય. કોઈપણ કર્મચારીને દિવસના નવ અથવા અઠવાડિયાના અડતાલીસ કલાકથી વધુ કામની ફરજ પાડી શકાય નહીં. જો ઓવરટાઈમ કરવાનો આવે તો મૂળભૂત વેતનના બમણા જેટલું વળતર આપવાનું રહેશે.