(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા. ૩
પાટીદારોના અનામત અને ખેડૂતોના પ્રશ્ને ભાવનગર શહરે જિલ્લામાં પાટીદારોનું અનામત આંદોલન ધીમે-ધીમે વેગ પકડી રહ્યું છે. ભાવનગરના શિહોર તાલુકાના મોટાસુરકા, ટાણા, બોરડી, પીપળિયા, સણોસરા, સરકડિયા, ગારિયાધાર સહિતના ગામોમાં પાટીદાર સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીય હાર્દિક પટેલના સમર્થનમાં ભાવનગર શહેર જિલ્લાના પાટીદાર ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. જેને દબાવી દેવા સરકાર દ્વારા પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ભાવનગર પંથકમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન પૂર્ણ શરૂ થતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.
શિહોર તાલુકાના ટાણા ગામે ઉપવાસી આંદોલનની છાવણીમાં ક્ષત્રીય સમાજના આગેવાનો દિલુભા ગોહિલ સહિતના આગેવાનો ઉપવાસી છાવણીમાં જોડાયા હતા. જ્યારે મોટાસુરકા ગામે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. જ્યારે ગારિયાધાર પાટીદાર આંદોલન સમિતિ દ્વારા ગારિયાધારની પટેલ વાડી ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો, પાટીદારો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.