નવીદિલ્હી,તા.૧૧
દેશ છોડીને ફરાર થઇ ચુકેલા અબજોના કૌભાંડના આરોપી નિરવ મોદી ક્યાં છે તે સંદર્ભમાં ભારત સરકારને હાલમાં કોઇપણ પ્રકારની માહિતી નથી. સીબીઆઈના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. નિરવ મોદ બ્રિટનમાં છે તેવા મિડિયા અહેવાલ આવ્યા બાદ સીબીઆઈ સુત્રો તરફથી આ મુજબની વાત કરવામાં આવી છે. એકબાજુ નિરવ મોદીએ ભારતમાં રાજકીય પ્રતિશોધનો દાવો કરીને રાજકીય શરણની માંગ કરી છે. નિરવ મોદી ઉપર પોતાના સંબંધી મેહુલ ચોક્સીની સાથે મળીને પંજાબ નેશનલ બેંકની સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો છે. સીબીઆઈ સુત્રોએ કહ્યું છે કે, તપાસ સંસ્થા પાસે એવી કોઇ નક્કર માહિતી નથી કે નિરવ મોદી ક્યાં છે. જે દેશમાં પણ નિરવ મોદીની ઉપસ્થિતિની માહિતી મળશે ત્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમ કહેવામાં આવે છે કે, નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સામે રેડકોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે પહેલા આજે એક અગ્રણી અંગ્રેજી અખબારે કહ્યું હતું કે, નિરવ મોદી લંડનમાં છે જ્યાં તેની કંપની એક સ્ટોર ધરાવે છે તે રાજકીય શરણ મેળવવાના પ્રયાસમાં છે. બ્રિટનના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, નિરવ મોદી બ્રિટનમાં છુપાયેલો છે. સીબીઆઈ અને અન્ય તપાસ સંસ્થાઓ નિરવ મોદીની ગતિવિધિ પર નજર રાખી રહી છે. ઇડી અને સીબીઆઈએ આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી છે. તપાસ સંસ્થા આ મામલામાં મની લોન્ડરિંગમાં પણ તપાસ કરી રહી છે. ભારત પહેલાથી જ શરાબ કારોબારી વિજય માલ્યના પ્રત્યાર્પણને લઇને પ્રયાસમાં છે. વિજય માલ્યા ઉપર પણ દેશની બેંકો સાથે નવ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. નવ હજાર કરોડ રૂપિયા લીધા બાદ આ રકમ ચુકવી નથી. માલ્યા પણ દેશ છોડીને ફરાર થઇ ચુક્યા છે. વિજય માલ્યા હાલમાં બ્રિટનની અદાલતમાં પ્રત્યાર્પણ સાથે સંબંધિત મામલામાં કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. નિરવ મોદી ફરાર થઇ ગયા બાદથી દેશમાં રાજકીય ગતિવિધિ પણ જોરદારરીતે ચાલી રહી છે. પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવી તે ફરાર થઇ ચુક્યો છે.