(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર સમાજના કેટલાક કહેવાતા આગેવાનો દ્વારા ભાજપ અને એનસીપીને મતો અપાવતા કોંગ્રેસના ઉમેદવારનો માત્ર ૧૮૮૩ મતથી પરાજય થયો હતો. જેને લઈને મુસ્લિમ સમાજમાં આવા કહેવાતા આગેવાનો વિરૂદ્ધ ઉગ્ર આક્રોસ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર ઉમરેઠ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કપીલાબેન ચાવડા, ભાજપના ગોવિંદભાઈ પરમાર અને એનસીપીના જયંત પટેલ બોસ્કી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ગત રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના ધારાસભ્ય તરીકે જયંત પટેલ બોસ્કીએ અહેમદ પટેલને મત આપ્યો ન હતો, જેથી મુસ્લિમ નેતા અહેમદ પટેલને મત નહીં આપનાર જયંત પટેલ બોસ્કી વિરૂદ્ધ મુસ્લિમ સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો હતો, તેમ છતાં કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનો અને એક મુસ્લિમ આચાર્ય સહિતના કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ અને હિત માટે સમગ્ર સમાજનાં હિતને કોરાણે મુકીને એનસીપીનો પ્રચાર કરી મતો અપાવ્યા હતા. ઉમરેઠ શહેરમાં પણ કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનોએ આર્થિક લાભ મેળવવાના અને પોતાનાં અંગત સ્વાર્થ માટે લાજ સરમ નેવે મુકીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો જેનાં કારણે કેટલાક મુસ્લિમ મતો બગડતા આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કપીલાબેન ચાવડાનો માત્ર ૧૮૮૩ મતે પરાજય થયો હતો અને ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારનો વિજય થતા ઉમરેઠના કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનો પોતાની લાજ શરમ નેવે મૂકી તેમજ ઈસ્લામ અને શરીયતના દુશ્મન પક્ષના ઉમેદવારને જીતના વધામણા આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા, અને ભાજપના જીતેલા ઉમેદવારને ફૂલોના હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા તેમજ વધામણા આપતા ફોટાઓ પણ પડાવ્યા હતા. આ ફોટાઓ ગત રાત્રે જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો સોશિયલ મીડિયામાં આ કહેવાતા મુસ્લિમ આગેવાનો પર ફિટકાર વરસાવી રહ્યા છે અને આવા આગેવાનો વિરૂદ્ધ રોષ પ્રવર્તી રહ્યો છે.
મુસ્લિમ સમાજનો શિક્ષિત વર્ગ માની રહ્યો છે કે હવે મુસ્લિમ યુવાનોએ સંગઠિત થઈને પોતાના અંગત સ્વાર્થ માટે મુસ્લિમ મતોમાં ભાગલા પડાવીને પોતાનો સ્વાર્થ સાધતા કહેવાતા આગેવાનોને સમાજની વચ્ચે ખુલ્લા પાડવા પડશે અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજનો એક પણ મત બગડે નહીં અને તેના કારણે કટ્ટરવાદી ઉમેદવારો જીતીને લોકસભામાં જઈને ઈસ્લામ અને શરીયતને કોઈ નુકસાન કરે નહીં તે માટે અત્યારથી જ જાગૃત બનવું પડશે અને જો આવા કહેવાતા આગેવાનો પોતાનું સ્વાર્થીપણું ત્યજે નહીં તો આવા આગેવાનો અને કાર્યકરોનો સામાજિક બહિષ્કાર કરવો પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે.