(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨
કેન્દ્ર સરકારના નવા કાયદા સીએએનો દેશભરમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યની ભાજપ સરકારે આ કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરવા વિધાનસભાના સત્રનું આયોજન કર્યું છે. આ સત્રમાં સીએએને સમર્થન આપતા પ્રસ્તાવની સાથે-સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના અનામત માટેના કરાયેલા સુધારાને પણ બહાલી અપાશે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં નાગરિકતા સંશોધન બિલ અંગે કોંગ્રેસ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. જ્યારે બિલના વિરોધમાં તોફાન કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જો આ બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું તો ગુજરાત બિલના સમર્થનમાં પ્રસ્તાવ લાવનાર પ્રથમ રાજ્ય બનશે. મોદી અને અમિત શાહ માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. મોદી એ ટ્વીટર પર સીએએની ફેવરમાં એક અભિયાન ચલાવ્યું છે. ભાજપે આ કાયદા માટે મોટાપાયે બેઠકો કરવાનું આયોજન કર્યું છે. ગુજરાત એ મોદી અને શાહનું હોમસ્ટેટ હોવાથી રૂપાણી સરકાર આ બિલને સમર્થન આપી અન્ય રાજ્યોને ઉદાહરણ આપવા માગી રહી હોવાથી આ તૈયારીઓ ચાલું થઈ છે.
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે. આ માટે વિધાનસભાનું તા.૧૦ જાન્યુઆરીએ બોલાવાયું છે.
બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના પ્રથમ સત્રનો આરંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલનો આભાર વ્યક્ત કરાશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં ૧૨૬મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ સુધારાને ભારતના બંધારણના આર્ટીકલ ૩૬૮ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આવી બહાલી મળ્યા બાદ જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે ખરડો મોકલી શકાય એવી જોગવાઇ હોઇ, ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે.
CAAને સમર્થન આપવા ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૦ જાન્યુ.એ યોજાશે

Recent Comments