અમદાવાદ,તા.રપ
રાજ્યમાં રોગચાળાનો ગ્રાફ નીચે જવાનું નામ નથી લેતો તેવામાં રાજ્ય સરકાર રાજયના ચાર કરોડ લોકોને પ્રદૂષિત પાણી પીવડાવીને તેમના આરોગ્ય સાથે ચેંડા કરી રહી છે. પીવાના પાણીની શુધ્ધતાના ધોરણો નીચા લાવવામાં આવ્યા છે. જેના લીધે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ છે. એવો સણસણતો આક્ષેપ લોકશાહી બચાવો અભિયાન દ્વારા કરવામાં આવ્યો છે.
લોકશાહી બચાવો અભિયાનના સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, મહેશ પંડયા, હેમંતકુમાર શાહ, રોહિત શુકલએ પત્રકાર પરિષદમાં સંયુકત નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું વર્ષ ર૦૧૭-૧૮ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે પીવાના પાણીમાં ટીડીએસ એક લીટર દીઠ પ૦૦ મિલીગ્રામની મર્યાદા સ્વીકારી શકાય છે. પરંતુ ગુજરાત સરકારી પીવાના પાણીના વૈકલ્પિક સ્ત્રોતની ગેરહાજરીમાં ટીડીએસનું પ્રમાણ પ૦૦થી વધારીને બે હજાર કરી દીધું છે. પીવાના પાણીના કુલ ૧૩ ધોરણોમાંથી ૧૦ ધોરણોમાં સરકારે સ્વીકાર્ય મર્યાદા કરતા માન્ય મર્યાદા વધારી દીધી છે. એમ કે ટોટલ હાર્ડનેસ ર૦૦થી વધારીને ૬૦૦ કરી દીધી છે. પાણીમાં રંગ, ટર્બીડીટી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કલોરાઈડ, સલ્ફેટ, ફલોરાઈડ અને આલ્કલિનીટી વેગરેના તમામ ધોરણો રાજય સરકાર દ્વારા નીચા લાવવામાં આવ્યા છે. કયાંક બે ગણા તો કયાંક ચાર ગણા ધોરણો નીચા લાવવામાં આવ્યા છે. વધુમાં ઉમેર્યું હતું કે સરકારે અગાઉ દાવો કર્યો હતો અને હજુ પણ કરે છે કે તે નર્મદાનું પાણી રાજયના ૯૦૮૩ ગામો અને ૧૬૬ શહેરોના આશરે ચાર કરોડ લોકોને પીવા માટે પાણી પુરૂ પાડે છે. પરંતુ ખરેખરમાં સરકાર પ્રદૂષિત પીવાનું પાણી પુરૂં પાડી રહી છે. ફેબ્રુઆરી ર૦૧૯માં સરદાર સરોવર અને નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી કાળું થઈ જવાને લીધે માછલીઓ મોટા પ્રમાણમાં મરી જવાને લીધે સરકારે પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. તેના લીધે લોકોમાં હલચલ મચી ગઈ હતી. એટલે સરકારે ત્રણ દિવસ બાદ ફરી પાણી પુરવઠો શરૂ કરી દીધો હતો. પરંતુ પાણી પ્રદૂષિત જ હતું. સરકારે પાણીની ગુણવતાની ચિંતા કર્યા વિના પ્રદૂષિત પીવાનું પાણી લોકોને પુરૂ પાડયું છ.ે આ અંગે બોર્ડ એમ કહે છે કે પાણી બેકટેરિયાવાળુ છે અને તેને શુધ્ધ કર્યા પછી વાપરી શકાય તેમ છે. પરંતુ વોર્ડ તે પાણીને શુધ્ધ કર્યા વિના જ દૂષિત પાણી આપે છે અને પ્રજાને ખબર જ નથી કે પાણી પ્રદૂષિત છે. તેમજ પાણી શુધ્ધ કરવાની જવાબદારી સરકાર લોકો પર નાખે છે. તદઉપરાંત બોર્ડ એમ પણ કબુલે છે કે નર્મદાના પાણીમાં વધુ પ્રમાણમાં સલ્ફાઈટ છે. ત્યારે આવું પ્રદૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે જો કે કેગના અહેવાલ મુજબ સરકારમાં જળ ગુણવતા સમીક્ષા સમિતિની મીટિંગ વર્ષ ર૦૦૩થી ર૦૧૧ના ૯ વર્ષના ગાળામાં માત્ર ૬ વખત જ મળી હતી. તેમાં પણ આ મીટિંગમાં લેવાયેલા નિર્ણયોનો અમલ થયો કે નહીં તેના વિશે કેગને કંઈ જ કહેવામાં આવ્યું નથી. જો કે હાલ ગંભીર સમસ્યા ઉભી થઈ તેમ છતાં આ જળ ગુણવતા સમીક્ષા સમિતિની મીટિંગ મળી નથી તે સરકારના પક્ષે ગંભીર ગુનાહિત બેદરકારી સમાન છે. એમ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. આ પ્રસંગે લોકશાહી બચાવો અભિયાનના પ્રવિણસિંહ જાડેજા, દેવ દેસાઈ પણ હાજર રહ્યા હતા.

નર્મદા ઓથોરિટીની મંજૂરી વિના જ સરકારે બે યોજના શરૂ કરી : ગુજરાતની ર૧ નદીઓ પ્રદૂષિત

મહેશ પંડ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, નર્મદા ટ્રિબ્યુનલના ચુકાદાનો ગુજરાત સરકાર દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો છે. કેમ કે, ટ્રિબ્યુનલના ચુકાદામાં જ એમ કહેવામાં આવ્યું કે, વર્ષ ર૦રપ સુધી પાણીની ફાળવણી અંગે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ રાજ્ય સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરી વિના જ નર્મદાના વધારાના પાણીના આયોજન માટે સુજલામ-સુફલામ અને સૌની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વધુમાં મહેશ પંડ્યાએ કહ્યું હતું કે, ફેબ્રુઆરી ર૦૧૯માં લોકસભામાં પૂછાયેલા પ્રશ્નમાં ગુજરાતની ર૧ નદીઓ ભારે પ્રદૂષિત છે, તેમાં પણ સાબરમતી નદી તો દેશની ત્રીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે.

પાણી પુરવઠા બોર્ડમાં રૂા.૮પપ કરોડનો ગોટાળો : રૂા.૩૪૦ કરોડનું પાણી બાષ્પીભવન

પત્રકાર પરિષદમાં હેમંતકુમાર શાહે કહ્યું હતું કે ફેબ્રુઆરી ર૦૧૯માં મળેલા વિધાનસભા સત્રમાં રજૂ થયેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વાર્ષિક હિસાબો અને ઓડિટરના અહેવાલ મુજબ બોર્ડ દ્વારા જે રૂા.૮પપ કરોડના હિસાબો રજૂ કરવામાં આવ્યા છે. તેના વિશે ઓડિટર કોઈ અભિપ્રાય બાંધી શકતા નથી. એમ ઓડિટર નોંધે છે. એટલે બોર્ડમાં રૂા.૮પપ કરોડના ગોટાળા થયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર નિગમ પોતાનું સંઘરેલુ પાણી ગુજરાત જળ વ્યવસ્થાપન લિમિટેડ નામની સરકારી કંપનીને આપે છે. પછી તે પાણીનું વહન કરીને બોર્ડને વિતરણ માટે આપે છે. પરંતુ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ ગુજરાત જળ વ્યવસ્થાપન લિમિટેડ દ્વારા રૂા.પ૦૩ કરોડના પાણીનું બિલ આપવામાં આવ્યું હતું પરંતુ બોર્ડ દ્વારા માત્ર રૂા.૧૬૩ કરોડનું જ બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. એનો મતલબ કે રૂા.૩૪૦ કરોડનું પાણી બાષ્પીભવન થઈ ગયું અમ વર્ષોથી આવી જ રીતે બોર્ડમાં પાણીનું બાષ્પીભવન અને ગોટાળા થતા જ રહે છે.

નર્મદા યોજનાના નામે લોકો સાથે ઠગાઈ

સુરેશ મહેતાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે અગાઉ સત્તાવાર રીતે એમ કહ્યું હતું કે, ઓકટોબર ર૦૧૬ સુધીમાં નર્મદા યોજના પાછળ રૂા.૫૬,૨૮૬ કરોડનો ખર્ચ થયો હતો. હવે નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી ર૦૧૯માં રજૂ કરેલા બજેટમાં કહ્યું છે કે, નર્મદા યોજના માટે વર્ષ ર૦૦૧થી ર૦૧૮ સુધીમાં રૂા.૫૧,૭૮૬ કરોડનો ખર્ચ થયો છે. આવું કેવી રીતે બને ? ખર્ચ કઈ રીતે ઘટે ? એટલે આ રીતે સરકાર નર્મદા યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે, એવો આક્ષેપ સુરેશ મહેતાએ કર્યો છે.