(એજન્સી) ગુજરાત, તા.ર૪
પોતાની પ્રેમિકાને મદદ કરવા માટે ગુજરાતના ૧૬ વર્ષીય સગીરે પોતાનું અપહરણ કરાવ્યું અને તેના પિતા પાસે રૂપિયા પ૦ લાખની ખંડણીની માગ કરી, તેમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું. તે તેની માતાના પિતાના (નાના) ઘરે દોઢ એક મહિનાથી રહેતો હતો. તેના નાનાનું ઘર સાકીનાકા વિસ્તારમાં આવેલું છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે તે સગીર પલઘરના તલસારીમાં રહેતી તેની પ્રેમિકા અને પરિવારને મદદ કરવા ઈચ્છતો હતો તેથી તેણે તેની પ્રેમિકા સાથે રહેવા માટે ખંડણીના પૈસા મેળવવાની યોજના ઘડી. આ સગીરે તાજેતરમાં જ ધો.૧રનો (કોમર્સ) અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેના પિતા ગુજરાતમાં સરકારી કર્મચારી છે. શુક્રવારના રોજ સાકીનાકામાં તેના રહેઠાણ પરથી આ સગીર ૧રઃ૧પ કલાકે ગુમ થયો હોવાનું માલૂમ થયું હતું. તેના ગુમ થયાના એક કલાક બાદ તેના પિતાને એક ફોન આવ્યો, જેમાં એક વ્યક્તિએ તેમના પુત્રનું અપહરણ કર્યું હોવાનો દાવો કર્યો.
ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યા અનુસાર અપહરણકર્તાઓએ સગીરના પિતા પાસે રૂા.પ૦ લાખની માગણી કરી હતી અને ત્યારબાદ સગીરના પિતાને પલઘરના મનોર પાસે પૈસા આપવા માટે જણાવ્યું હતું. અપહરણની વાત સાંભળતા જ સગીરના મામાએ તુરંત જ સાકીનાકા પોલીસનો સંપર્ક સાધી, અપહરણનો કેસ દાખલ કરાવ્યો. જો કે પોલીસ તથા ક્રાઈમ બ્રાંચના ૧૦ અધિકારીઓએ પણ આ કેસની તપાસ કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે જ્યારે ફોનને ટ્રેસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ ફોન મનોરના લક્ષ્મી રેસિડેન્સીમાંથી કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે આ સગીર, ૧૯ વર્ષીય યુવક કે જે તેનો બાળપણનો મિત્ર હતો તેની સાથે તે મળી આવ્યો હતો. ત્યારબાદ આ બંનેએ અપહણનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી.