(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
કેવડિયા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમના બંદોબસ્ત દરમિયાન પીએસઆઇ નિલેશ ફિણવિયાએ રિવોલ્વર વડે પોતાના જ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં પોલીસ વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઉપરી અધિકારીની હેરાનગતિથી આત્મહત્યા કર્યો હોવાની વ્યાપક ચર્ચા છે.
પોતાના ૭૦મા જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર પધારેલા વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલા પોલીસ સ્ટાફમાં નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.સી.ફિણવિયાનો સર્કિટ હાઉસ ખાતે પોઈન્ટ હોવાથી ફરજ પર હાજર હતા. સાડા દસ વાગ્યાની આસપાસ સર્કિટ હાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ.બી. કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગી એટલે કોંકણીએ મિત્રતામાં ફિણવિયાને સર્વિસ રિવોલ્વર આપી દીધી હતી. પરંતુ રિવોલ્વર આપવાના ગણતરીના સેકન્ડમાં જ ફાયર (ગોળીબાર)નો અવાજ થતાં આખો સ્ટાફ પેસેજમાં દોડી ગયો હતો. જ્યાં લોહીમાં લથબથ ફિણવિયાની લાશ મળી આવતા સ્ટાફમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરી અધિકારીઓના દબાણ અને હેરાનગતિના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે નવસારી પોલીસના અધિકારીઓએ પણ બંદોબસ્તમાંથી ઘટનાસ્થળે દોડવું પડ્યું હતું.
સ્યુસાઈડ નોટ મળી આવી પણ ખુલાસો કરાયો
સર્કિટ હાઉસના પેસેજમાં લમણે ગોળી મારીને આપઘાત કરી લેનાર ફિણવિયાના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં આપવીતિ તેમજ આપઘાત કરવા પાછળના કારણો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ પોલીસે સ્યુસાઈડ નોટ સંદર્ભે ખુલાસો કર્યો નથી. ૨૦૧૩ની બેચના પીએસઆઈ છેલ્લાં કેટલાંક મહિનાઓથી સસ્પેન્ડ હતા. ગત ૬ઠ્ઠીથી જ તેઓ ફરીથી હાજર થતાં હેડ કવાર્ટરમાં મૂકવામાં આવ્યા હતા.
ગણેશ વિસર્જનમાં સારી કામગીરી સંદર્ભે પ્રશંસાપત્ર પણ મળ્યો હતો
ગણેશ વિસર્જન દરમિયાન સર્વોત્તમ ગામગીરી માટે પોલીસ વિભાગ તરફથી એન.સી.ફિણવિયાને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સારી કામગીરીને પગલે ૧૨ મીના રોજથી તેમની એલ.આઇ.બી.માં ટ્રાન્સફર કરવામાં આવી હતી.