(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, રાફેલ જેટ વિમાનોની કિંમતો પર એજ સ્થિતિમાં ચર્ચા થઇ શકે જ્યારે આ સોદાની હકીકતોના જાહેર કરવાના દાયરામાં લાવવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફની પીઠે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાના સોદાની કોર્ટની દેખરેખમાં તપાસ માટે દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. પીઠે કહ્યું કે, તે વાયુ સેનાની જરૂરિયાતો સાથે સંબંધિત મામલે સુનાવણી કરી રહી છે અને તે આ અંગે સુરક્ષા મંત્રાલયના કોઇ અધિકારીને બદલે વાયુ સેનાના અધિકારીને સાંભળવા માગે છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું કે, અમારે નિર્ણય લેવો પડશે કે શું કિંમતોની હકીકતો જાહેર કરવામાં આવે કે નહીં. પીઠે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યું કે, વાસ્તવિકતાઓને જાહેર કર્યા વિના તેની કિંમતો પર ચર્ચા કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. જોકે, પીઠે એટોર્ની જનરલને સ્પષ્ટતા કરી હતી કે, તેમને લાગશે કે વાસ્તવિકતા જાહેર થવી જોઇએ ત્યારે જ તેની કિંમતો અંગે વિચારણા કરવામાં આવશે. કેન્દ્ર તરફથી જ્યારે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે દલીલો શરૂ કરી ત્યારે પીઠે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી મામલે ભારતીય વાયુસેનાના કોઇ અધિકારી પાસે પણ સહયોગનો આગ્રહ કર્યો હતો. પીઠે કહ્યું કે, અમે વાયુસેનાની જરૂરિયાતો અંગે વિચારણા કરી રહ્યા છીએ અને રાફેલ વિમાન અંગે કોઇ વાયુસેનાના અધિકારી પાસેથી જાણવા માગીએ છીએ. આ મામલે લંચ બાદ જ્યારે ચર્ચા શરૂ થઇ ત્યારે વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ વીઆર ચૌધરી અને અન્ય બે અધિકારી ન્યાયાલયની મદદ માટે પીઠ સમક્ષ હાજર થયા હતા. એટોર્ની જનરલ દલીલો દરમિયાન રાફેલ વિમાનોની કિંમતો સાથે સંબંધિત ગોપનિયતાની જોગવાઇનો બચાવ કર્યો હતો અને કહ્યું કે, જો કિંમતો અંગે બધી જાણકારી જાહેર કરીદેવાય તો આપણા દુશ્મનો તેનો લાભ લઇ શકે છે. આ દરમિયાન પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન સુનાવણીમાં કોર્ટે અરજકર્તાઓ અને સરકારની સાથે-સાથે વાયુ સેનાના અધિકારીઓને પણ વિસ્તારપૂર્વક સાંભળ્યા હતા. સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે પક્ષ રાખ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે, વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતોને પુરી કરવા માટે રાફેલ વિમાનો જરૂરી હતા. તેમણે કહ્યું કે, કારગિલ યુદ્ધમાં ભારતે પોતાના ઘણા જવાનો ગુમાવ્યા. અહીં આપણી પાસે રાફેલ વિમાનો હોત તો નુકસાન ઓછું થયું હોત. આ અંગે વાયુસેનાએ પણ વેણુગોપાલની દલીલો સાથે સહમતી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે વાયુસેનાના અધિકારીઓની પુછપરછ બાદ તેમને સુનાવણી દરમિયાન જ જવા માટેની પરવાનગી આપી હતી.