(એજન્સી) શ્રીનગર, તા.૩
જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી સરકાર ધ્વસ્ત થયાને ૧૫ દિવસમાં જ મુફ્તી સામે નવી એક મુસીબત ઊભી થઈ ગઈ છે. સોમવારે પીડીપીના ૩ ધારાસભ્યોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. આ ધારાસભ્યોએ મહેબૂબા મુફ્તીની પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે. આ ત્રણ એમએલએમાં સામેલ એવા પૂર્વ મંત્રી ઈમરાન રઝા અંસારીએ મહેબૂબા મુફ્તી પર નિશાન સાધતાં તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે.
મંગળવારે એમએલએ ઈમરાન રઝાએ મહેબૂબા મફ્તી પર આક્ષેપ કરતાં કહ્યું કે, “મેં અનેક વખત મહેબૂબાને જણાવ્યું છે કે તેઓ પીડીપીમાં આવ્યાં બાદ પાર્ટીમાં અનેક વખત મુંઝવણ જેવો અનુભવ કરી રહ્યાં છે. તે હંમેશા પોતાના પરિવાર અંગે જ વિચારે છે. ભાઈ-ભત્રીજાવાદે આ પાર્ટીને અને પૂરા કાશ્મીરને બરબાદ કરી દીધું છે.”
તેઓએ વધુમાં કહ્યું કે, “મેં મહેબૂબાને કહ્યું કે અમે તમને ખુદા હાફિઝ કરી દીધું છે. અમે પાર્ટીમાં એટલા માટે ફસાયેલા છીએ કેમકે અમે ધારાસભ્યો છીએ. પરંતુ અમે ચૂંટણી માટે તૈયાર છીએ. અમે લોકો માટે કામ કરવા માંગીએ છીએ, તે પછી ભલે તે માટે ૫૦ પાર્ટીઓ કેમ ન બદલવી પડે.” પીડીપીના નારાજ ધારાસભ્યોના નિવેદન એવાં સમયે આવ્યાં છે જ્યારે સમાચાર મળી રહ્યાં છે કે પીડીપીના અનેક નેતા બળવો કરી ભાજપ જોઈન કરવા માટે તૈયાર છે. પીડીપીના અનેક નેતા ભાજપમાં આવવા માગે છે. તે માટે અંદરોદર ગણિત-ગુણાકારનો ખેલ પણ ચાલી રહ્યો છે. હાલ અમરનાથ યાત્રા પૂરી થાય તેની રાહ જોવાઈ રહી છે.