(એજન્સી) મુંબઈ, તા. ૨૬
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યંુ હતું કે, ગુજરાતની ચૂંટણી બાદ વિપક્ષી દળો મજબૂત બનશે. પીએમ મોદી પર નિશાન તાકતા રાજ ઠાકરેએ ગુજરાત ચૂંટણીના નામે નાણાંની બરબાદી અંગે ખુલ્લેઆમ ટીકા કરી હતી. ગુજરાતમાં વિકાસ, નોટબંધી, જીએસટી અને હવે બુલેટ ટ્રેન જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓને દેશ વિરોધી ગણાવી રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, રતન તાતાએ તેમને ગુજરાતના જે વિકાસની તસવીર દેખાડી હતી તેની પરિસ્થિતિ અત્યારે એકદમ વિપરીત છે. આજે ઉદ્યોગો મામલે મહારાષ્ટ્ર ગુજરાત કરતા ઘણું આગળ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડેલ દેખાડી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સપના દેખાડ્યા અને હવે આ જ મોદી ગુજરાતમાં જઇને લોકોને કહે છે કે, તેમણે વિકાસકાર્યો કર્યા છે તો શું લોકોને તેમનો વિકાસ દેખાતો નથી ? મોદીએ કેમ તેમને કહેવું પડે છે કે, મેેં ગુજરાતમાં વિકાસ કર્યો છે ? કેમ તેઓ વારંવાર ગુજરાતના આંટા ફેરા કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે, જેને તેઓ પપ્પુ કહેતા હતા તેવા રાહુલ ગાંધીથી મોદી ભયભીત થઇ ગયા છે અને વારેઘડીએ ગુજરાતના પ્રવાસે ઉપડી જાય છે.
રાજ ઠાકરેએ જણાવ્યું કે, ગુજરાતને વિકાસ મોડેલ ગણાવ્યું છે તો પછી વારંવાર ત્યાં કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ જવાની શું જરૂર છે ? તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ભાજપ માટે ચૂંટણી તો સરળ હોવી જોઇએ જનતાએ તેઓને હાથમાં ઉપાડી લેવી જોઇએ. તેમણે કહ્યું કે, યુપીના સીએમ ગુજરાતમાં સૂમસામ માર્ગો પર હાથ ઊંચા કરી રહ્યા હતા. જનતા તો તેમાં ક્યાંક દેખાતી જ નહોતી. આ એજ યોગી છે જેમની આટલી ઉંમર થઇ છતાં તેમને ખબર નથી કે, તાજમહેલમાં કબર છે. જ્યારે આ વાત તો બધા જાણે છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે દેખાડવા માટે હવે કાંઇ નથી તેથી હવે તેઓ તાજમહેલ દેખાડી રહ્યા છે.
ઇવીએમના ઉપયોગ પર ધ્યાન આપવું જરૂરી
રાજ ઠાકરેએ જણાવ્યું કે, ઇવીએમના દુરૂપયોગ પર ધ્યાન આપવું જરૂરી છે તેની અવગણના કરી ના શકાય. દિલ્હી વિધાનસભામાં તો તેનુ ઉદાહરણ આપી રજૂ કરી દેવામાં આવ્યંુ છે કે, તેની સાથે ચેડાં સંભવ છે. તેમને ચૂંટણી પંચે પોતાનું મશીન ન આપ્યું જેથી સાબિત થઇ જાય કે, તેની સાથે ચેડાં સંભવ છે. કોંગ્રેસને જ્યારે બહુમતી મળી હતી ત્યારે ભાજપના નેતા કિરિટ સોમૈયાએ તો ન્યાયાલયનો દરવાજો ખખડાવતા કહ્યું હતું કે, ઇવીએમ સાથે ચેડાં સંભવ છે. હવે આ જ ભાજપ ચેડાંથી ઇન્કાર કરી રહ્યો છે.
બૂલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ માટે અને તેનો બોજ આખા દેશ પર !!!
રાજ ઠાકરેએ ફરીવાર ચેતવણી ઉચ્ચારતા જણાવ્યંુ હતું કે, બૂલેટ ટ્રેન માટે એક ઇંટ પણ મુકવા દઇશ નહીં. મંબઇને તેની જરૂર નથી. બૂલેટ ટ્રેન લાંબી મુસાફરી માટે હોય છે, મુંબઇ-અમદાવાદ વચ્ચે ચલાવવી એ સમજાતું નથી. એક પ્રદેશ માટે ૧.૧૦ લાખ કરોડની લોન લીધી અને તેનો બોજ આખો દેશ ઉપાડશે. મોદીએ ક્યારેક જીએસટીનો વિરોધ કર્યો હતો અને આજે તેની તરફેણ કરી રહ્યા છે. નોટબંધીથી ૯૯ ટકા નાણા જ્યારે બેંકોમાં જમા થઇ ગયા તો કાળુ નાણું કોની પાસે છે તેનો જવાબ અત્યારસુધી મળ્યો નથી. હવે તો લક્ષ્મીજીને જ નાણાની જરૂર પડી છે અને તે મોદી તથા શાહ પાસે નાણા માગે છે.