(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૮
આજથી ૭૬ વર્ષ પુર્વે વર્ષ ૧૯૪રમા અંગ્રેજો ભારત છોડોના નારાને સાકાર કરવા માટે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારત છોડોના નારાને વીસ્તૃત સ્વરૂપ આપવા માટે ખેડા જીલ્લાના કેટલાક યુવાનો આઝાદીનો જોસ જગાવતી પત્રીકાઓનુ વિતરણ કરવા માટે નીકળ્યાં હતાં. અને તેઓ અડાસ રેલવે સ્ટેશન ખાતે પહોંચતા જેની ગંધ અંગ્રેજ પોલીસને આવી જતા અંગ્રેજ પોલીસે અડાસ રેલવે સ્ટેશન ખાતે પત્રીકાનુ વીતરણ કરવા નીકળેલા યુવાનો પર ૧૮મી ઓગષ્ટ ૧૯૪રના રોજ ગોળીબાર કર્યો હતો અને તેમાં પાંચ નવ લોહીયા યુવાનો ગોળીથી વીંધાઈને સહીદ થયા હતાં જેમાં ભાદરણના રતીલાલ પટેલ, ધર્મજના રમણલાલ પટેલ, દહેગામના મોહનલાલ પટેલ, બાલાસીનોરના તુલસીદાસ મોદી, ચાણસમાના મણીલાલ પુરસોત્તમ સહીત પાંચ યુવાનોએ શહીદી વ્હોરી હતી અને તેમના માનમાં રેલવે સ્ટેશન પાસે શહીદ સ્મારક બનાવવામા આવ્યું છે. જયાં દર વર્ષે ૧૮મી ઓગષ્ટના રોજ ગ્રામજનો શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે.
આજે ૧૮મી ઓગષ્ટ હોવા છતાં એક પણ રાજકીય નેતા કે રાજકીય કાર્યકર શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલી આપવા આવ્યા નથી. જેને લઈને સ્થાનીક લોકોમાં તંત્ર વીરૂદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી ઉઠયો છે. આજે શહીદ પરીવારના લોકોએ ઉપસ્થીત રહીને દેશ માટે આપેલી કુરબાનીને બીરદાવી તેઓને શ્રદ્ધાંજલી અર્પી હતી.
આ અંગે ગામનાં પિયુષભાઈ રાજએ જણાવ્યું હતું કે ગ્રામજનો દર વર્ષે શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલી અર્પે છે,પરંતુ આ વર્ષે અહીયાં એક પણ રાજકીય નેતા શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલી અર્પવા ઉપસ્થિત રહ્યા નથી.
ખાસ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ચોંરદાથી આવેલા ભુમિવલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે ગાંધીજીનાં નામે રાજકીય ખીચડી પકાવવામાં આવી રહી છે,શહીદોને માત્ર ચુંટણી સભાઓમાં યાદ કરવામાં આવે છે,પરંતુ શહીદોનાં સ્મારક પર આવવા માટે રાજકીય નેતાઓને સમય મળતો નથી.
ગામનાં વૃદ્ધ નટવરસિંહ રાજએ જણાવ્યું હતું કે વડોદરાથી ભારત છોડો ચળવળને વેંગવંતી બનાવવા માટે ૩૪ જેટલા યુવાનોનું જુથ ગુપ્ત રીતે પત્રીકાઓનું વિતરણ કરવા માટે ટ્રેન મારફતે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અંગ્રેજ પોલીસ તેમને શોધી રહી હોવાની માહીતી મળતા આ યુવાનો વડોદ રેલ્વે સ્ટેશનએ ઉતરી ગયા હતા અને ચાલતા ચાલતા અડાસ રેલ્વે સ્ટેશન પહોંચતા જયાં પોલીસે તેઓને ઝડપી લીધા હતા અને ફાયરીંગ કરતા જે પૈકી પાંચ યુવાનોને ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા અને બાકીનાં કેટલાક યુવાનો ધાયલ થયા હતા,ત્યારે એક સ્થાનીક ડોકટર કાપડીયાએ ધાયલ યુવાનોની પાટાપીંડી કરી સારવાર કરી હતી અને ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે આણંદ લઈ જવામાં આવ્યા હતા,ત્યારે અહીયાં ડોકટર કાપડીયાએ આપેલી સેવા પણ યાદ કરવા જેવી છે.તેઓએ શહીદોનાં બલીદાનને અમર બનાવવા માટે અહીયાં યોગ્ય સુવિધાઓ પણ ઉભી કરવા જણાવ્યું હતું.