(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧ર
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માનવવસ્તી પર દીપડા દ્વારા હુમલાઓ કરવાના બની રહેલા બનાવોને ધ્યાને લઈ ગુજરાત સરકારે આજે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે. સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની મળેલી બેઠકમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દીપડાઓને રેડિયો કોલર કરીને છોડવાનો તથા ર૦ર૦માં હાથ ધરાનારી સિંહોની વસ્તી ગણતરીમાં આર્ટિફિશલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી સાયન્ટીફીક ગણતરી કરવા અને ઘોરાડ-ખડમૌર પ્રજાતિના પક્ષીઓ માટે પીપીપી ધોરણે અદ્યતન બ્રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતના નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં દીપડા અંગેના નિર્ણયના પરિણામે માનવવસ્તીને રંજાડતા દીપડાઓનું હવેથી રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહેશે. તદ્દઉપરાંત, ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગની જરૂરી પરવાનગી મળ્યેથી હાથ ધરવા પણ તેમણે સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં જોવા મળતી અલભ્ય પક્ષી પ્રજાતિ ઘોરાડ અને ખડમૌરના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રીડિંગ સેન્ટર PPD મોડ પર શરૂ કરવા અંગેના DPR સ્થળ નિયત અને સર્વે ત્વરાએ હાથ ધરવા પણ વન વિભાગને સૂચન કર્યું હતું. તેમણે ખાસ કરીને કચ્છ પ્રદેશમાં ઘોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરિંગની સંભાવનાઓ ચકાસવા સૂચન કર્યુ હતું. વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે ગુજરાત સેન્ટ્રલ એશિયાઇ ફલાય વે માં આવતું રાજ્ય છે અને તેથી યાયાવર પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. ત્યારે આ પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર તથા પવનચક્કીથી અકસ્માતે ઇજા ન થાય તે માટે સ્ટ્રેટજિક જગ્યાએ બર્ડ ડાર્યવટર લગાવવાની પ્રક્રિયા વન વિભાગ આગામી દિવસોમાં હાથ ધરવાનું છે. મુખ્યમંત્રીએ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતાં કહ્યું કે, ર૦ર૦માં જ્યારે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાય ત્યારે વાઘની વસ્તી ગણતરીના જે નેશનલ પ્રોટોકોલ છે તે અંતર્ગત ડિજિટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી રાજ્યમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે જ સાથોસાથ બનાસકાંઠા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રીંછની વસ્તી પણ વધુ છે તેથી વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં રીંછની બહુધા સંખ્યા ધરાવતા સ્થાનો પણ આવરી લેવા તેમણે હિમાયત કરી હતી.
રેવન્યુ વિસ્તારમાંં પકડાતા દીપડાઓને હવે રેડિયો કોલર કરીને છોડવામાં આવશે

Recent Comments