(એજન્સી) તા.૮
રોહિંગ્યા મુસ્લિમો આશ્રયવિહોણા બની ગયા છે ત્યારે તેઓ મ્યાનમારની સેનાના દબાણને કારણે પલાયન કરવા મજબૂર થયા છે. એવા સમયે જ્યારે તેઓ બાંગ્લાદેશમાં કેવી સ્થિતિમાં તે અંગે તેમની મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન કેટલાક હિન્દુ અને મુસ્લિમ રોહિંગ્યાઓએ તેમની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે અમારા ગામમાં મ્યાનમારની સેનાના સૈનિકો ધસી આવ્યા, તેમણે બેફામ ગોળીબાર શરૂ કરી દીધો. અમે નિશસ્ત્ર હતા. ત્યારબાદ મ્યાનમારના બૌદ્ધ નાગરિકો પણ આવ્યા અને તેઓએ અમારા ગામે ગામમાં લૂંટખોરી કરી અને અમારા મકાનો બાળી નાખ્યા. અમે હવે બાંગ્લાદેશમાં છીએ. ર૦ જેટલા હિન્દુ અને મુસ્લિમોએ સામુહિક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે રપ ઓગસ્ટના રોજ રખાઇનના ખા મોંગ સેક ગામને કેવી રીતે તબાહ કરવામાં આવ્યું. કાદીલ હુસૈન નામની વ્યક્તિએ જણાવ્યું કે રખાઇનના કેટલાક બૌદ્ધ ધર્મ પાળનારા નાગરિકો સેના સાથે ધસી આવ્યા હતા અને તેમણે ગામના લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું. અમારા ગામમાં લગભગ ૧૦૦૦૦ જેટલા મુસ્લિમો છે. તેમાંથી ઘણાને ગોળી મારી દેવામાં આવી અને બાકી બચેલા લોકો નાસીને અહીં આવી ગયા છે. ગામમાં એકે વ્યક્તિ બાકી રહી નથી. હાલમાં આ રોહિંગ્યા મુસ્લિમો કુતાપાલોંગ શરણાર્થી વસાહતોમાં આશ્રય લઇ રહ્યાં છે.
અગાઉ પણ ત્યાં હજારોની સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી બનીને આવી ગયા હતા અને તેઓ પણ અહીં પહેલાથી આશ્રય લઇ રહ્યાં છે. ઓગસ્ટ રપ બાદથી હિંસામાં અત્યાર સુધી દોઢ લાખ જેટલા રોહિંગ્યા પલાયન કરી અહીં આવી પહોંચ્યા છે. એક જાણીતા મીડિયાએ આ લોકોની આપવીતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મ્યાનમારની સેના દાવો કરે છે કે તેમની લડાઇ આતંકીઓ વિરોધી છે. મ્યાનમારની મીડિયા પણ રોહિંગ્યા આતંકીઓ પર ગામડા બાળવા તથા નાગરિકોની હત્યા કરવાનો આરોપ મૂકી રહી છે. મ્યાનમારમાં તાજેતરમાં ૧.૧ મિલિયન જેટલા રોહિંગ્યા નાગરિકોની નાગરિકતા છીનવી લેવાઈ હતી અને તેમને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓ ગણાવાયા હતા. ખા મોંગ સેક ગામમાં મ્યાનમારની સેના અને બૌદ્ધ ધર્મના લોકો આવા લોકોને ગામ છોડી જવા દબાણ કરતુ આવ્યું છે. એક ર૮ વર્ષીય વ્યક્તિએ જણાવ્યું કે હું આ ઘટના વખતે જંગલમાં છુપાયેલ હતો તે સમયે મેં જોયું કે મ્યાનમારના સૈનિકોએ મારી માતા અને ભાઇઓને ગોળી મારી દીધી અને તેઓ ઢળી પડ્યા. હું એકલો બચી ગયો. મને તેમની દફનવિધિ કરવાની પણ તક ના મળી. જોકે મ્યાનમારની સેના બૌદ્ધ ધર્મના લોકો તેને ટેકો આપી રહ્યાં છે એવા અહેવાલો ફગાવી રહી છે અને આરોપ મૂકી રહી છે કે મુસ્લિમ સમુદાયના લોકો અન્ય સમુદાયના લોકો પર હુમલા કરી રહ્યા છે. મિલિટ્રીના અહેવાલો કહે છે કે અમે જ્યારે ગામમાં આવ્યા તો અમને કોઇ મૃતદેહ ના મળ્યો. ખા મોંગ સેક ગામમાં બધા જ ધર્મના લોકો રહે છે જેમાં બૌદ્ધ, મુસ્લિમો અને અન્ય સમુદાયના લોકો પણ છે. અબુ કલામ નામની ૩૧ વ્યક્તિએ પણ કહ્યું કે જુઓ મારા શરીર પર સિગારેટના ડામ આપવામાં આવ્યા છે અને આ કૃત્ય મ્યાનમારની સેનાનું છે. હું સેનાના હાથે ચઢી ગયો હતો. મને છ દિવસ જેલમાં ગોંધી રખાયો. તેઓ મારા પર નિયમિત અત્યાચાર કરતા હતા અને અલ યાકીન સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકતા હતા.
રોહિંગ્યાઓએ આપવીતી જણાવી કહ્યું, મ્યાનમારની હિંસામાં અમારા ગામ નાશ પામ્યા

Recent Comments