(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર
વડોદરામાં વરસાદને લીધે સર્જાયેલી તારાજીને લઈ વહીવટીતંત્ર દોડતું થયું છે. મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રીએ આજે સાંજે વડોદરાની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા માટે તાત્કાલિક અસરથી રૂા. બે કરોડની અને ગ્રામ્ય માટે રૂા.ર૦ લાખની તેમજ ત્રણ દિવસ સુધી કેશડોલ્સ ચૂકવવા સાથે ઘરવખરીની સહાય આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા વરસાદની સ્થિતિ અંગે સતત મોનીટરિંગ કરાઈ રહ્યું છે અને તમામ પ્રકારની મદદની ખાતરી પણ અપાઈ છે. મુખ્ય સચિવે પણ સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યાના દાવા સાથે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું તંત્ર તરફથી જણાવાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાની સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા મોડી સાંજે વડોદરા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ તમામ સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે રાહત કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, એનડીઆરએફની ૧૧ અને એસડીઆરએફની પ ટીમ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૭,૦૦૦ લોકોનું રેસ્કયુ તેમજ ૪,૦૧૯થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં ૮૪૦ ગર્ભવતી મહિલાઓને સલામત રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરમાં વીજળી ઉપલબ્ધ કરાવવા માટે તમામ ૪૮ ફિડર પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં તબીબી સહાય માટે ૯૮ આરોગ્ય ટીમ કાર્યરત છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજય સરકાર દ્વારા પૂરની સ્થિતિમાં ત્રણ દિવસ દરમ્યાન આર્થિક રાહતના ભાગરૂપે કેશડોલ્સ રૂપે પુખ્ત વયનાઓને રૂા.૬૦ પ્રતિ વ્યકિત, બાળકને રૂા.૪પ તેમજ ઘરવખરી ગુમાવનારને રૂા.ર૦૦૦નું ચુકવણુ કરવામાં આવશે. જેના સર્વે માટે યુદ્ધના ધોરણે ર૬ ટીમ કાર્યરત કરાઈ છે તાત્કાલિક અસરથી વડોદરા શહેરમાં રૂા.૧ કરોડ ઘરવખરી માટે અને રૂા.૧ કરોડ કેશડોલ્સ માટે એમ કુલ રૂા. ર કરોડ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.ર૦ લાખની ખાસ સહાય ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદોને અત્યાર સુધીમાં ૧,૬૪,૦૦૦થી વધુ ફુડ પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ ડો. સિંઘે જણાવ્યું હતું. શહેરના તમામ રોડ તેમજ પાંચ બ્રિજ પુનઃ કાર્યરત કરાયા છે વડોદરા એરપોર્ટ અને દિલ્હી-મુંબઈ રેલવે, નેશનલ હાઈવે તેમજ એસ.ટી. વ્યવહાર પુનઃ શરૂ કરાયો છે. રાજય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે અને એરપોર્ટ ઉપરનો ટ્રાફિક પણ પુર્વવત થઈ ગયો છે. મુખ્ય સચિવે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સીધો જ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંપર્ક કરી જાત માહિતી મેળવી હતી.