(એસ.આઈ.બુખારી) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢ શહેરની પ્રતિષ્ઠિત સેવાભાવી સામાજિક સંસ્થા યુનાઈટેડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા આજે ૧૭મો મુસ્લિમ તેજસ્વી તારલા સન્માન સમારોહ-ર૦૧૭નું શહેરની જયશ્રી ટોકિઝ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ૧૭ વર્ષની અતૂટ પરંપરા મુજબ મુસ્લિમ સમાજના ધો.પથી ૯ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ધો.૧૦-૧ર તેમજ કક્ષાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હવે પછી યોજવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષની પરંપરાની જેમ આ વખતે પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર જૂનાગઢ શહેર-જિલ્લાની મહિલા પ્રતિમાઓને જ સ્થાન આપીને સ્ત્રી-સશક્તિકરણ ર્(ુદ્બટ્ઠહ ીદ્બર્િદૃીદ્બીહં) નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડવામાં આવ્યું હતું. જેની ઉપસ્થિત તમામે ભારે સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરવા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી આદ્યશક્તિબેન મજમુદારે તેમના ટૂંકા સંબોધનમાં કહ્યું કે આ કાર્યક્રમ થકી નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. સમયનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે શિક્ષણની જીવન ઘડતરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. શિક્ષણ થકી સમાજ સંયમ અને સંસ્કારની કેળવણી થાય છે તેમ તેમણે જણાવ્યું હતું. સમયને વેડફો નહીં ટીવી, વોટ્સએપ, ફેસબુક પાછળ સમયની બરબાદી નહીં કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
જ્યારે માંગરોળની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એમએમઈડબ્લ્યુ હાઈસ્કૂલના નિયામક અને પ્રખર શિક્ષણવિદ મોહતરમા રાબિયાબેન આરબે સમગ્ર કાર્યક્રમનું સૌથી પ્રભાવશાળી સંબોધન કરતાં કહ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને આ બાબત તમામને લાગુ પડે છે. બાળકને ઘણી લાંબી મંજીલ પર સફર કરવાનું હોય છે. તેમણે બાળકોના સન્માન પછી વધુ પડતાં આત્મવિશ્વાસમાં નહીં રહેવા શિખામણ આપી હતી. તેમણે આ તકે ડો.એપી.જે. અબ્દુલકલામનું સ્મરણ કરતાં કહ્યું કે “આ દેશનું સારૂં દિમાગ (બ્રેઈન) કલાસરૂમની છેલ્લી બેંચ ઉપર પણ મળી શકે છે. ધો.૧થી ૮માં ૯૦ ટકા લાવનાર વિદ્યાર્થીની ટકાવારી ધો.૯થી ૧રમાં પ૦-૬૦ ટકાએ પહોંચી જાય છે. તેમ થતું અટકાવવા હકારાત્મક અભિગમ સાથે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવો સમયને વેડફો નહીં, પરીક્ષાનો ડર રાખવો નહીં તેમ જણાવતા રાબીયાબેને પાઠ્યપુસ્તકો સિવાયના ઈતરવાંચન ઉપર ખાસ ભાર મુક્યો હતો. માનવીના ચારિત્ર્ય ઘડતરમાં હંમેશા સૌથી વધુ ફાળો પુસ્તકોનો છે. સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડો, સંગત સારી રાખો, સારા મિત્રોની સોહબત રાખો, બુરી સોહબતથી હંમેશા બચો તેવી તેમણે બાળકોને ખાસ શિખામણ આપી હતી. વાલીઓમાં પણ સ્પર્ધા જોવા મળે છે. વાલીઓની વધુ પડતી અપેક્ષાઓથી બાળકોમાં વિકૃતિ આવે છે અને બાળક નિરાશા-નિષ્ફળતા અને ડિપ્રેશનનો ભોગ બને છે. બાળકોને બહુ સૂચનાઓ આપો નહીં, શિસ્ત અને સમય પાલન કરવાના બોધ સાથે તેમણે
“કદમ ઐસા ચલો કે
નિશાન બન જાએ,
કામ ઐસા કરો કે
નિશાન બન જાએ”
કહીં પોતાનું મનનીય પૂર્ણ કર્યું હતું.
જ્યારે જૂનાગઢ શહેરમાં કેળવણીક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર એન.વી. કાંબલિયા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી નીરૂબેન કાંબલિયાએ કહ્યું કે શિક્ષણ તરફ મુસ્લિમ સમાજ પ્રગતિ કરી રહ્યો છે આ કાર્યક્રમ થકી સ્ત્રી-સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂકતાં નીરૂબેને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.બેનજીર ભુટ્ટોનું ઉદાહરણ આપતાં કહ્યું કે બેનજીર ભુટ્ટો જૂનાગઢના હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન પદે પહોંચીને મહિલા સશક્તિકરણનો પરચો આપ્યો હતો. બાળકો રાષ્ટ્રનું ભાવિ છે. રાષ્ટ્ર અને સમાજ ઘડતરમાં તેમનું યોગદાન રહેવાનું છે ત્યારે શિક્ષણના સ્ટેજનો સદ્ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
જ્યારે ભૂતપૂર્વ મેયર જ્યોતિબેન વાછાણીએ સંસ્કાર ઘડતર ઉપર ભાર મુક્યો હતો અને વાલીઓને જાગૃત થવા અનુરોધ કર્યો હતો. તેમજ ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને શક્ય તમામ મદદ કરવા તેમણે ખાત્રી ઉચ્ચારી હતી.
જ્યારે એનઆર વેકરિયા, એમબીએ કોલેજના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડો. તબસ્સુમબહેન પરમારે કહ્યું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. દીકરી-દીકરા વચ્ચે કોઈ ભેદભાવ કરવો જોઈએ નહીં. બલ્કે દીકરીઓના અભ્યાસ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે જો દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશે તો તે એક સાથે બે ઘરમાં પ્રકાશ ફેલાવશે. લગ્ન જેવા બંધનો દીકરીઓના અભ્યાસ કે કેરિયરમાં જરા પણ અવરોધરૂપ બનવા દઈ શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું. જ્યારે કન્યા વિદ્યા મંદિરમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રીમતી પ્રભાબેન પટેલે તેમના મનનીય સંબોધનમાં કહ્યું કે જે માત્ર પોતાના માટે જીવે છે તેનું મરણ નક્કી હોય છે પરંતુ જે બીજા માટે જીવે છે તેનું (મૃત્યુ બાદ પણ) સ્મરણ થાય છે. ધો.૧૦-૧ર અને કોલેજ કક્ષાએ ઉચ્ચ અભ્યાસક્રમમાં ધારી સફળતા માટે ધો.૧થી જ તૈયારી કરવામાં આવે તો ઘણું સારૂં પરિણામ મળી શકે. ટકા(પર્સન્ટેજ) સાથે ટેલેન્ટ પણ જરૂરી છે.
બાળકોની આંતરિક શક્તિ અને ક્રિએટિવિટીને ઉજાગર કરવી જોઈએ. જીવનમાં ક્યારેય હિંમત હારવી નહીં, અભ્યાસમાં પાઠ્યપુસ્તક હોય છે. પરંતુ જીવનમાં કોઈ પાઠ્યપુસ્તક હોતું નથી. તેથી જીવનમાં હંમેશા વિવેક બુદ્ધિ અને વ્યવહારિકતાનો ઉપયોગ કરવા તેમણે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું ઉદાહરણ આપીને બાળકોને સમજ આપી હતી.
દરમિયાનમાં કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુર્આનેપાકથી કરવામાં આવ્યો હતો. જાણીતા ઉદ્ઘોષક જનાબ અ.રશીદ મુન્શીએ તિલાવતે કુર્આન અને સંસ્થા પરિચય આપવાની સાથે સમગ્ર કાર્યક્રમનું શાનદાર સંચાલન કર્યું હતું. એકલવ્ય સ્કૂલના આયેશા ખાને સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમના સ્ટેજ ઉપર તમામ મહિલા પ્રતિભાઓ બીરાજમાન હતી. જેમાં આદ્યશક્તિબેન મજમુદાર, આલ્ફાબેન મારફતિયા, રાબીયાબેન આરબ, પ્રભાબેન પટેલ, જ્યોતિબેન વાછાણી, નીરૂબેન કાંબલિયા, વીજયા રવિ, આસ્થાબેન નાવાણી, ડો. અફઝલનાઝ મોદી, ડો.તબસ્સુમબેન પરમાર, અલીમાબેન પઠાણ, ઈન્સીયાબેન માંકડા, આયેશાબેન ખાન, સેનીલાબેન થઈમ, નસીમાબેન ધાનાણી, રૂબીનાબેન ઝારિયા, શાહબાનુંબેન પડાણિયા, શહેનાઝબહેન પોપટિયાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના કાર્યકરો અ.રશીદ મુન્શી, ડો.હારૂનભાઈ વિહળ, શફીભાઈ દલાલ, અસ્ફાક મારફતિયા, અસીમ મારફતિયા, સાજીદ વીધા, શાહીદ મારફાણી, સોહેલ સિદ્દીકી, આસીફભાઈ ઈગલ, વકાલિયાભાઈ, એ.કે.ખાન, મક્સૂદભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.
મુસ્લિમ સમાજના શિક્ષણના પ્રસાર માટે ઈકબાલભાઈ મારફતિયાના અથાગ પ્રયાસો
જૂનાગઢના અગ્રણી બિલ્ડર અને યુનાઈટેડ એજ્યુકેશન વેલ્ફેર સોસાયટીનાં પ્રમુખ જનાબ ઈકબાલભાઈ મારફતિયા દ્વારા દર વર્ષે સમગ્ર મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ સતત છેલ્લા ૧૭ વર્ષથી યોજવામાં આવી રહ્યો છે. તેમના યુનાઈટેડ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના ર૦૦થી વધુ જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શક્ય તેટલી સહાય મદદ આપવામાં આવે છે. મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઈકબાલભાઈ મારફતિયા સતત પ્રયાસો કરી રહ્યા છે. મહિલા શિક્ષણ અને સશક્તિકરણ માટે પણ તેઓ હંમેશા ગંભીર પ્રયાસો કરતા રહે છે. તેમના આ સેવાકીય પ્રવૃત્તિઓને ઉપસ્થિત તમામે સમર્થન આપી આવકારી હતી.